હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો: ખોડિયાર મંદિરે જઇ રહેલા પદયાત્રા સંઘને ટ્રક ચાલકે મારી ટક્કર, ત્રણ લોકોના મોત અને 5 ઘાયલ

Harij Chanasma Highway Accident: હારીજ-ચાણસ્મા હાઇવે પર ખોડીયાર માતાના મંદિર(Harij Chanasma Highway Accident) પગપાળા જતાં સંઘને અકસ્માત નડ્યો છે. વિગતો મુજબ આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આ તરફ અન્ય 5 જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેવામાં આવ્યા છે.

પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો
પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનાને લઈ પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને અકસ્માત નડ્યો છે. જેમાં આ સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં બે મહિલા અને એક કિશોરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં ચારની હાલત અતિગંભીર હોવાની માહિતી મળી રહી છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વાહનચાલકની શોધખોળ હાથ ધરી
બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઇ રહ્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે હારીજ-ચાણસ્મા હાઇવે પરના દાંતરવાડા ગામ પાસે અજાણ્યો વાહનચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત થયા છે. જેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે.પગપાળા સંઘને અજાણ્યા વાહનચાલકે મારેલી આ ટક્કર એટલી ગંભીર હતી કે માતાજીનો રથ રોડ પરથી સાઈડની ઝાડીઓમાં ફંગોળાઇ ગયો હતો. આ અંગે હારીજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

35 પદયાત્રીઓ વરાણા જતા હતા
આ અકસ્માત અંગે હારીજ પોલીસ સ્ટેશનના PSI ડી કે ચૌધરીએ જણાવ્યું હતું કે, બહુચરાજીના અંબાલા ગામેથી 35 જેટલા પદયાત્રીઓ વરાણા ખોડિયાર માતાના મંદિરે રથ લઈને જતા હતા, જ્યાં રસ્તામાં અજાણ્યા આઇસર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ત્રણના મોત થયા છે અને પાંચ લોકોને ઇજાઓ થતા સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

મૃતકોના નામ
પૂજાબેન જયરામજી (ઉમર 20),રોશનીબેન જગાજી (ઉમર 16),શારદાબેન કડવાજી (ઉમર 62)નું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થતા તેમના પરિવારમાં આક્રન્દ છવાઈ ગયો છે.

ઇજાગ્રસ્તોના નામ
મહેન્દ્રભાઈ ઠાકોર (ઉમર 25),રાહુલભાઇ મગનજી ઠાકોર (ઉમર 18),નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉમર 13),સવિતાબેન નાગજીજી ઠાકોર (ઉમર 45) અને સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર (ઉમર 18)ને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.