‘આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં’: અમદાવાદના જ્વેલર્સમાં ચાર લૂંટારૂઓએ બંદુકની અણીએ કરી 10 લાખથી વધુના દાગીનાની ચોરી

Theft in jewellers: રાજ્યમાં દિવસેને દિવસે ચોરી તેમજ લૂંટફાટ વધી રહી હોઈ તેવું લાગી રહ્યું છે.લૂંટારુઓને જાણે કે કાયદા તેમજ વ્યવસ્થાનું કોઈ ભાન ન હોઈ…

Theft in jewellers: રાજ્યમાં દિવસેને દિવસે ચોરી તેમજ લૂંટફાટ વધી રહી હોઈ તેવું લાગી રહ્યું છે.લૂંટારુઓને જાણે કે કાયદા તેમજ વ્યવસ્થાનું કોઈ ભાન ન હોઈ તેવી રીતે લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ગત મોડીરાતે મણીનગરમાં આવેલી એક જ્વેલર્સની શોપને(Theft in jewellers) હથીયાર ધારી શખ્સોએ ટાર્ગેટ કરીને 11.63 લાખના દાગીનાની લૂંટ કરી નાસી જતા ચકચારમચી ગઇ છે. ચાર શખ્સો દુકાનમાં આવ્યા અને શોપના માલીકના લમણે રિવોલ્વર ટાંકી ગણતરીની મિનિટોમાં ડીસપ્લેમાં લગાવેલા દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા.

લમણે રિવોલ્વર મુકી લૂંટને અંજામ આપ્યો
ઇસનપુર વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા 28 વર્ષીય અમૃત માળીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. અમૃત માળી તેમના પરિવાર સાથે રહે છે અને મણીનગર ભૈરૂનાથ સર્કલ નજીક જય ભવાની જ્વેલર્સની શોપ ધરાવીને ગુજરાન ચલાવે છે. ગઇકાલે અમૃત માળી તેમની શોપમાં હાજર હતા. ત્યારે ચાર શખ્સો આવ્યા હતા. અમૃત માળીએ ગ્રાહક સમજીને આવકારો આપ્યો હતો, પરંતુ તે લૂંટારૂ નીકળ્યા હતા. અમૃત માળી કઇ સમજે તે પહેલા ચાર શખ્સો પૈકી એક શખ્સે તેમના લમણે રિવોલ્વર મુકી દીધી હતી. રિવોલ્વર મુકતાની સાથે જ અમૃત માળી ગભરાઇ ગયા હતા. લૂંટારૂ શખ્સે અમૃત માળીને ધમકી આપી હતી કે, આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં, પહેલે પેરમે ગોલી માંરુગા ઉસકે બાદ દીમાગ મૈ.

ધમકીથી ડરી સરેન્ડર થઇ ગયા
અમૃત માળી લૂંટારૂઓની ધમકીથી ડરી ગયા હતા અને બાદમાં તેઓ સરેન્ડર થઇ ગયા હતા. સરેન્ડર થઇ જતા લૂંટારૂઓએ ડીસપ્લેમાં મુકેલા 11.63 લાખના દાગીના લૂંટી લીધા હતા. દાગીના લૂંટી લીધા બાદ લૂંટારૂઓ ભાગી ગયા હતા. જ્યારે અમૃત માળીએ બુમાબુમ કરી દીધી હતી. લોકો લૂંટારૂઓનો પીછો કરે તે પહેલા તે તેમના વાહનો લઇને નાસી ગયા હતા. અમૃત માળીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને તેમજ પોલીસને કરી હતી. લૂંટની જાણ થતાની સાથે જ મણીનગર પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. જ્યારે ઉચ્ચ અધિકારીઓ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ પહોંચી ગઇ હતી. મણીનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો
લૂંટારૂઓને ખબર હતી કે, લૂંટ કર્યા બાદ અમૃત માળી તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી દેશે. જેના કારણે દાગીના લૂંટી લીધા બાદ લૂંટારૂઓએ અમૃત માળીનો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. જ્યારે લૂંટારૂઓ ભાગ્યા ત્યારે અમૃત માળી એકદમ ગભરાયેલો હતો. જેથી તેમણે થોડા સમય બાદ બહાર આવીને બુમાબુમ કરી દીધી હતી.તેમજ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસએ લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.