અહેમદ પટેલના દીકરા ફૈસલને પોતાના રાજકારણનું બાળમરણ દેખાતા શું બણગો ફોડ્યો જાણો

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દેશભરમાં અલગ અલગ પક્ષો તરફથી રાજનીતિ ના અલગ અલગ દાવ પેચ સામે આવી રહ્યા છે.…

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દેશભરમાં અલગ અલગ પક્ષો તરફથી રાજનીતિ ના અલગ અલગ દાવ પેચ સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં મૃત:પ્રાય બનેલી કોંગ્રેસ અને સુષુપ્ત અવસ્થામાં રહેલી આમ આદમી પાર્ટી ના ગઠબંધનની જાહેરાત થતા કોંગ્રેસના કહેવાતા કાગળ પરના નેતા ફૈસલ પટેલ (Faisal Patel) વિરોધ કરવા બજારમાં દેખાઈ રહ્યા છે.

અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ (Faisal Patel Bharuch) થોડા દિવસ અગાઉ જ ચૂંટણી લડવાના અભરખા સાથે ભરૂચમાં દેખાવા લાગ્યા છે અને પોતે દિગ્ગજ નેતા હોય તેવો ઢોંગ પણ રાચી રહ્યા છે. બીજી તરફ ફૈસલ પટેલ ના બહેન એટલે કે મુમતાજ પટેલ છેલ્લા બે વર્ષથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરવાના ભાગરૂપે “ભરૂચ કી બેટી” ના નામે કેમ્પેઈન કરીને ભરૂચના ગામડે ગામડે જઈ રહ્યા છે. કેટલાક કોંગ્રેસના એવા નેતાઓ જે અહેમદ પટેલના નજીકના હતા તેઓ મુમતાજ પટેલની મદદ પણ કરી રહ્યા હતા. પરંતુ પાર્ટ ટાઈમ રાજકારણ કરવા ઈચ્છતા ભાઈ બહેન ની આ જોડી પોતાના પિતાના નામે રાજનીતિ કરવા નથી રહ્યા હોવાથી મૂળ કોંગ્રેસને વરેલા નેતાઓ તેમની સાથે રહેવામાં રસ ધરાવતા નથી.

આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસના ગઠબંધનની જાહેરાતો ની વાત સામે આવતા ગુજરાતની બે સીટ આપના ફાળે જશે તેવી માહિતી બહાર આવતાની સાથે જ ફૈસલ પટેલને પોતાના રાજકારણનું બાળમરણ થઈ જશે તેવું લાગતા ફૈસલે જાણે પોતે મોટા જનનેતા હોય તેવી રીતે વિરોધ કરતી ટ્વિટ કરી છે અને ટ્વીટરના માધ્યમથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકસભા માટે ઉમેદવાર બનાવેલા ચૈતર વસાવા વિરુદ્ધ બણગા ફોડ્યા છે. ફૈસલે લખ્યું છે કે, આમ આદમી પાર્ટીની તાકાત માત્ર એક વિધાનસભા સીટ પર જ છે અને ભરૂચ કોંગ્રેસ ની તાકાત આખી લોકસભા સીટ છે. ઉલ્લેખનીય છે કે ફૈસલ પટેલ પાર્ટ ટાઈમ રાજકારણી બનવા તાજેતરમાં જ માર્કેટમાં આવ્યા હોવાથી તે ભૂલી ગયા છે કે 1989 બાદ કોંગ્રેસ ક્યારેય અહીંયા જીત્યું નથી.

બીજી તરફ અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ (Mumtaz Patel) દ્વારા પણ એક ઇન્ટરવ્યૂમાં કહેવાયું છે કે હું અહેમદ પટેલ ની દીકરી છું. હું ભાજપમાં ક્યારેય નહીં જાઉં. પરંતુ ભરૂચની સીટ જો કોંગ્રેસને નહીં મળે તો મારું દિલ તૂટી જશે જિંદગીમાં ઘણાને ઘણું જોઈતું હોય છે, પરંતુ બધાને બધું મળતું નથી. બીજી તરફ મુમતાજ પટેલના આ નિવેદનનો જવાબ આપતા આમ આદમી પાર્ટી નેતા સંદીપ પાઠકે કહ્યું છે કે અમે અંદરો અંદર બેઠક કરીને આ બધું હેન્ડલ કરી લઈશું. ચૂંટણી લડવાની ઈચ્છા તમામને હોય છે.

બીજી તરફ ત્રિશુલ ન્યુઝને મળતી માહિતી અનુસાર અહેમદ પટેલના દીકરા દ્વારા વિરોધ કરાયા બાદ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ આપને દાવેદારી છોડવા કહી રહ્યું છે. કોંગ્રેસનું કહેવુ છે કે ભરુચ સીટ પર કોંગ્રેસની ભાવનાઓ જોડાયેલી છે. અહેમદ પટેલની કર્મભૂમિ છે. AAP નું શોર્ષ નેતૃત્વ માની રહ્યું છે કે, જો કોંગ્રેસની આ વાત AAP માની લે તો ભાજપને પરિવાર વાદનો આરોપ મુકવાનો સરળ રસ્તો મળી જાય એમ છે.