આણંદ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ મોત

Borsad Accident: બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.ત્યારે આ ગોઝારા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતા. આ અકસ્માત એટલો ગોઝારો હતો કે, ત્રણ કલાકની જહેમત બાદ ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.ત્રણેવ મૃતક યુવાનો બોરસદ( Borsad Accident )ના જંત્રાલના વતની હોવાની વિગતો સાંપડી છે. ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

રેતી ભરેલા ટ્રક સાથે અથડાઈ કાર
ઝારોલા બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે મોડી રાતે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને તેમાં 3 લોકોના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના સમયે કારમાં 3 યુવકો મુસાફરી કરી રહ્યા હતા.તેમના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

કારે આગળ જતા બાઇકને ટક્કર મારી
આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતા 22 વર્ષીય જયેશભાઇ રબારી, તેમના પિતા રવાભાઈ રબારી અને મામા શંકરભાઈ ગતરોજ રાત્રીના સમયે બાઈક નંબર (GJ-23-DF-4100 લઈને કણભા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતાં હતાં. તેઓ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર નંબર (GJ-23-CD-6183) એકાએક જયેશભાઈના બાઈક સાથે અથડાઈ હતી.

બાઇક સાથે અથડાયા બાદ બેકાબુ બનેલી આ કાર રોંગ સાઇડે જઈને સામેથી આવતી એક રેતી ભરેલી ટ્રક નંબર( GJ-23-W-5714)માં ધડાકાભેર ઘુસી ગઈ હતી. ગાડીની ટક્કર વાગવાથી બાઇક પર સવાર જયેશભાઈ, તેના પિતા રવાભાઈ અને મામા શંકરભાઈ રોડ પર પટકાયા હતા. જેથી ત્રણેયને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ ટ્રકની નીચે ઘૂસી જવાથી કારનો કુચ્ચો વળી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

ત્રણ કલાકની જહેમત બાદ લાશને કાઢવામાં આવી
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, આખી કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી ત્રણ યુવાનોના મૃતદેહોને બહાર કઢાયા હતા. મૃતક ત્રણેય યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.આ ત્રણેય મૃતકો બોરસદ તાલુકાના જંત્રાલ ગામના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બાઈકચાલક જયેશભાઇ રવાભાઈ રબારીની ફરીયાદને આધારે ભાદરણ પોલીસે આ અકસ્માત સર્જી મોતને ભેટનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.