નકલીનું કૌભાંડ ! રાજ્યમાંથી વધુ એક નકલી ટોલનાકું જુનાગઢમાંથી ઝડપાયું

Fake Toll in Junagadh: રાજ્યમાં નકલી વસ્તુનો રાફડો ફાટી નીકળ્યો છે.ક્યાંક ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરી તેને નકલી બનાવવામાં આવે છે.તો ક્યાંક નકલી જીરું બનાવવામાં…

Fake Toll in Junagadh: રાજ્યમાં નકલી વસ્તુનો રાફડો ફાટી નીકળ્યો છે.ક્યાંક ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરી તેને નકલી બનાવવામાં આવે છે.તો ક્યાંક નકલી જીરું બનાવવામાં આવે છે.એ તો બધું ઠીક,પરંતુ હવે તો નકલી MLA,નકલી ઓફિસર નકલી ડીવાયએસપી પણ ઝડપાવવા લાગ્યા છે.ત્યારે આજે ફરી એકવાર જૂનાગઢ( Fake Toll in Junagadh )ના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાય છે
જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આ મામલે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ કહી રહ્યા છે કે, ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. આ બાબતે ટોલનાકાના મેનેજમેન્ટ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

વાહનોને ડાયવર્ટ કરી પૈસા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ
જૂનાગઢ જિલ્લાના જેતપુરથી સોમનાથ જતા નેશનલ હાઈવે પર ગાદોઈ ગામ નજીક ટોલનાકું આવેલું છે. આ ટોલનાકા નજીક જ ગાદોઈ ગામનો રસ્તો આવેલો છે. ટોલનાકાના મેનેજરનું માનીએ તો, ગાદોઈ ગામના કેટલાક અસામાજિક તત્વો ટોલનાકા નજીક ઉભા રહી જાય છે અને વાહનોને ગાદોઈ ગામના રસ્તે ડાયવર્ટ કરી દે છે. આ લોકો દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદે પૈસાની વસૂલાત કરાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ટોલનાકા નજીકથી દરરોજ 1000 થી 1500 વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવતા હોવાના કારણે ટોલબુથને દરરોજ બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થતું હોવાનો મેનેજર દ્વારા દાવો કરાયો છે.

વાહનો રોકવા મુદ્દે સામસામે ફરિયાદ નોંધાઈ હતી
3 જાન્યુઆરીના રોજ ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ રાયમલભાઈ જલુ સહિતના પાંચ લોકો ટોલનાકા નજીક ટ્રેકટર આડુ રાખી વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરતા હોય ટોલનાકા પરના કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે સરપંચના પતિ સહિતના પાંચ લોકોએ ગેરકાયદે મંડળી રચી હથિયાર ધારણ કરી ટોલનાકાના કર્મચારીઓ સાથે મારામારી કરી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તો બીજી તરફ રાયમલભાઈ દ્વારા પણ ટોલનાકાના કર્મચારીઓ સામે ગામનો રસ્તો બંધ કરી મારામારી કરવામાં આવી હોવાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અગાઉ પણ નકલી ટોલનાકું ઝડપાઇ ચૂક્યું છે
બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક બાહુબલિઓએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું હતું. વાહનચાલકો પાસેથી ટોલનાકા કરતા અડધા ભાવે ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ ગેરકાયદે ટોલનાકા કાંડમાં સિરામિક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.