CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળ અયોધ્યા મુલાકાતે, રામલલાના ચરણોમાં ઝૂકાવ્યું શીશ

CM Bhupendra Patel Ayodhya Visit: અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ અલગ-અલગ દિવસે દેશનાં જુદાં-જુદાં રાજ્યોનાં મંત્રીમંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યાં છે. આજે સવારે 8.45 વાગ્યે…

CM Bhupendra Patel Ayodhya Visit: અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ અલગ-અલગ દિવસે દેશનાં જુદાં-જુદાં રાજ્યોનાં મંત્રીમંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યાં છે. આજે સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયાં હતાં. ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા દર્શન કરવા પહોંચ્યું હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel Ayodhya Visit) સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી અયોધ્યા પહોંચ્યા હતા.મંત્રીમંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ અયોધ્યા પહોંચ્યા હતા.ત્યારે અયોધ્યા એરપોર્ટ પર તમામનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અયોધ્યા રામ લલ્લાના કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ, મુખ્ય દંડક સહિત તમામે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં શનિવારે સવારે રામલલ્લાનાં ભક્તિભાવ પૂર્વક દર્શન-અર્ચન કરી શિશ ઝૂકાવ્યું હતું. ભૂપેન્‍દ્ર પટેલે આ ક્ષણને સૌભાગ્ય પૂર્ણ અને ભાવુક ગણાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા, પુરૂષાર્થ અને પ્રતિબદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બની છે તેનું શ્રેય નરેન્‍દ્રભાઈ મોદીને જાય છે. સીએમ અને સમગ્ર મંત્રીત્રંડળ તથા શંકર ચૌધરી બનાસ ડેરી પ્લાન્ટ, લખનઉંની મુલાકાતે પણ જશે.

કેસરી ખેસ પહેરાવી સ્વાગત
અયોધ્યા રામમંદિરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, આદિજાતિ વિકાસમંત્રી ડો. કુબેર ડિંડોર, મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અયોધ્યા પહોંચ્યાં છે અને રામલલ્લાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે.

રાષ્ટ્રનાં નવ જાગરણનું મંદિર છે
મુખ્યમંત્રીએ અયોધ્યા રામમંદિરમાં દર્શન-પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નરેન્‍દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામની અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠાએ દેશમાં નવા કાળચક્રના ઉદભવનો ઉદઘોષ છે. એટલું જ નહીં, આવનારા હજારો વર્ષોમાં રામરાજ્યની સ્થાપનાનાં સંકલ્પ સાથે ભારતની દૃષ્ટીનું, દર્શનનું અને દિગ્દર્શનનું મંદિર આ રામમંદિર બન્યું છે. સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રનાં નવ જાગરણનું મંદિર છે એમ તેમણે ઉમેર્યું હતું.

યોગી આદિત્યનાથનો આભાર માન્યો
રામમંદિરનાં દર્શને આવતાં રાજ્યના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યામાં ઉત્તરપ્રદેશ સરકારે આપેલી જમીન પર ગુજરાત યાત્રી ભવનનાં નિર્માણ માટે ગુજરાત સરકારે આ વર્ષનાં બજેટમાં રૂ. 10 કરોડ ફાળવ્યા છે અને કુલ રૂ. 50 કરોડનું આયોજન છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રામલલ્લાનાં દર્શને આવનારા ગુજરાતભરનાં યાત્રિકોને સરળતાએ આવાસ સુવિધા પૂરી પાડવા આ યાત્રી ભવનનું નિર્માણ થવાનું છે. રામમંદિર નિર્માણથી ભારતને વિશ્વગૌરવ અપાવનારા વડાપ્રધાનને અભિનંદન આપતા અભિનંદન પ્રસ્તાવ ગુજરાતની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અનેમહાનગરપાલિકાઓએ કર્યા છે અને ભારતને રામમય બનાવવા માટે તેમનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા રમલલ્લાના દર્શને આવતા યાત્રાળુઓને જે સુવિધાઓ મળી રહી છે તે માટે મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો હતો.