આ સ્મશાન છે કે દારૂનો અડ્ડો? ભાજપના હોદ્દેદાર અને સ્મશાનના કોન્ટ્રાક્ટરે અગ્નિસંસ્કાર કરાતી CNG ભઠ્ઠી નીચે લાખોનો દારૂ સંતાડ્યો

1800 Bottles of Foreign Liquor Seized: અમદાવાદના હાટકેશ્વર સ્મશાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડનો ભાજપનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ અક્ષય વેગડની 1800 બોટલ(1800 Bottles of Foreign Liquor Seized) સાથે પોલીસે ધરપકડ કરી છે.

CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળ્યા
મળતી માહિતી મુજબ, ખોખરા પોલીસને બાતમી મળી હતી કે, હાટકેશ્વર સ્મશાન ગૃહમાં આવેલી CNG ભઠ્ઠીમાં કેટલોક દારૂનો જથ્થો સંતાડવામાં આવેલો છે. સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતો અક્ષય વેગડ દ્વારા ત્યાં દારૂ ઉતારી અને વેચાણ કરવામાં આવે છે. જેના પગલે પોલીસે દરોડો પાડતા CNG ભઠ્ઠીમાંથી 1803 જેટલી વિદેશી દારૂની બોટલ અને 98 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા અને ત્યારબાદ તેનું વેચાણ કરતા હતા.

શબ સળગે તેની નીચે જ વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયેલો આરોપી અક્ષય વેગડ ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છે. હાટકેશ્વર સ્મશાન ચલાવવા માટેનો પેટા કોન્ટ્રાકટ છે. જ્યાં શબ સળગે તેની નીચે જ વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરવામાં આવતું હોવાથી અનેક સવાલ ઉભા થયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ પોતાના મળતીયા માણસોને ગોઠવી અને સફાઈથી લઈ લાકડાનો કોન્ટ્રાક્ટ આપી દેતા હોય છે અને પછી ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થાય છે. સ્મશાન ગૃહમાં ક્યારેય કોઈપણ અધિકારી કે ભાજપના ચેરમેન જોવા આવ્યા નથી, જેના કારણે સ્મશાનમાં બેફામપણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.

ભાજપના સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવા દેવામાં આવતી નથી
આરોપી અક્ષય વેગડ ભાજપનો હોદ્દેદાર છે અને ખોખરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પરમારથી લઈ શહેર ભાજપના અનેક હોદ્દેદારો સાથેના ફોટા સોશિયલ મીડિયામાં જોવા મળે છે. સ્મશાન ગૃહમાં કોન્ટ્રાક્ટના નામે આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવનારા લોકોને ખૂદ ભાજપના જ નેતાઓ છાવરતા હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા છે. સ્મશાન ગૃહોમાં સફાઈથી લઈ અને અંતિમ સંસ્કાર માટેની ઘોડીઓની ડિઝાઇન બદલી નાખી હોવા અંગેની પણ ઘટનાઓ સામે આવી હતી, તેમ છતાં પણ ભાજપના સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવા દેવામાં આવતી નથી.