પુત્રના નિધન બાદ સાસુ સસરાએ માવતર વિનાની દીકરીના પુનઃલગ્ન કરાવી સમાજમાં નવો પ્રકાશ પાથર્યો

રાજકોટ(ગુજરાત): સાસરિયાંના ત્રાસના અનેક બનાવો સામે આવી રહ્યા છે, પરંતુ રાજકોટમાંથી સમાજ માટે પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે. સાસુ-સસરાએ પુત્રના મૃત્યુ બાદ માતા-પિતા બની પુત્રવધૂનું…

રાજકોટ(ગુજરાત): સાસરિયાંના ત્રાસના અનેક બનાવો સામે આવી રહ્યા છે, પરંતુ રાજકોટમાંથી સમાજ માટે પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે. સાસુ-સસરાએ પુત્રના મૃત્યુ બાદ માતા-પિતા બની પુત્રવધૂનું કન્યાદાન કર્યું હતું. પુત્રવધૂનાં માતા-પિતા નથી તેથી સાસરિયાંએ જ માવતર બનીને તેના લગ્ન કરાવ્યાં હતાં. સાસુ-સસરાએ રડતા રડતા કહ્યું હતું કે, તમામ લોકો દીકરીની જેમ જ વહુને રાખે છે. ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે અક્ષરનગર શેરી નં.5માં રહેતા ધીરુભાઈ જાદવભાઈ જેઠવા જે મોચીનું કામ કરે છે. એક કારખાનામાં કામ કરતો તેમનો પુત્ર મુકેશભાઈ હતો. 9 વર્ષ પહેલાં મુકેશભાઈના મહારાષ્ટ્ર ખાતે રહેતા મોચી પરિવારની દીકરી જયા સાથે લગ્ન થયા હતા, પરંતુ ગય જાન્યુઆરી મહિનામાં પુત્રનું હાર્ટ-અટેકથી મોત થયું હતું.

લગ્ન સંસાર દરમિયાન મુકેશભાઈ અને જયાબેનને એક પુત્ર અને એક પુત્રી છે. આ વર્ષે જાન્યુઆરી માસમાં મુકેશભાઈનું હાર્ટ-અટેકથી અવસાન થયું હતું. ઘરના આધારસ્તંભ યુવાન પુત્રનું અવસાન થતાં અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં મોચી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 28 વર્ષની જયાબેનની પતિના મોતથી જે સ્થિતિ હતી એ જોઈ પરિવાર વધુ દુ:ખી થતો હતો, આથી બીજા લગ્ન જયાબેનના કરાવી દેવા ખુદ સાસુ-સસરાએ જ જ્ઞાતિમાં જ સારું ઠેકાણું શોધવાનું શરૂ કર્યું હતું.

ત્યારે અમદાવાદના ઠક્કર બાપાનગરમાં રહેતા અને મોચીકામ સાથે સિલાઈકામ પણ કરતા પરેશભાઈ મગનભાઈ વાઢેરનો પરિચય થયો હતો. સગાં-સંબંધીઓ વચ્ચે લગ્ન બાબતે ચર્ચા થઈ હતી અને સાસુ-સસરાએ કન્યાદાન કરી પુત્રવધૂના બીજા લગ્ન કરાવી આપ્યા હતા. પરેશભાઈ અને જયાબેનના લગ્ન રાજકોટ કોર્ટમાં રજિસ્ટર થયા હતા અને દંપતીએ ફૂલહાર અને વિધિ સાથે નવા જીવનની શરૂઆત કરી હતી.

સાસુએ રડતા રડતા જણાવ્યું હતું કે, મને ક્યારેય મારા દીકરા અને પુત્રવધૂએ હેરાન કર્યાં નથી. સાજા-માંદા હોઇએ ત્યારે મારો દીકરો મને ખંભા પર બેસાડી હોસ્પિટલ લઇ જતો હતો. મારે કિડનીની બીમારી હોવાથી મને સાજી કરવા માટે ખૂબ જ દોડધામ કરતો હતો. હવે તો મે મારી દીકરી (પુત્રવધૂ)ને પણ વિદાય કરી દીધી છે.

વધુમાં સાસુએ જણાવ્યું હતું કે, મારી વહુને મેં ત્યાં સુધી કહ્યું હતું કે બેટા, તું ભાગીને લગ્ન કરી લે ગમે ત્યાં, પરંતુ ત્યારે મારી વહુએ કહ્યું કે ના મમ્મી, હું તમારી સાથે 15 વર્ષથી રહી છું અને હવે આવું કરું તો મારાં મમ્મી-પપ્પાની ઇજ્જત જાય. પછી અમે અમદાવાદ ગયા અને જ્ઞાતિનો જ છોકરો દેખાડ્યો હતો. તે લોકો પણ અહીં આવ્યા અને બધું જોયું-જાણ્યું. તેઓ મંગળવારે આવ્યા અને તેમના લગ્ન કરાવ્યા હતા. મારી વહુને મેં કોઈ દિવસ દુઃખ આપ્યું નથી. તેણે જે વસ્તુ પર હાથ મૂક્યો એ વસ્તુ મેં હાજર કરીને આપી છે. ઘરમાં જેટલો સામાન હતો એ મેં ખુદ હાથે પેક કરી દીધો હતો. મારી દીકરીનો સામાન જે આવ્યો છે એ પણ આપી દીધો છે.

ધીરુભાઇના જણાવ્યા મુજબ, મારી પુત્રવધૂને મેં દીકરીની જેમ જ રાખી છે. હું બધાને કહું છું કે, તમે પણ વહુને દીકરીની જેમ રાખજો. મારા પુત્રનું અવસાન પછી અમે નક્કી કર્યું કે, સારી જગ્યાએ ઠેકાણું જોઇ પુત્રવધૂના લગ્ન કરાવી દઈએ, આથી અમારી પુત્રવધૂ પણ સુખી-શાંતિથી રહી શકે. મારી પુત્રવધૂ ઘરકામ કરવા જતી ત્યારે મને દયા આવી અને કહ્યું કે બેટા, તું બીજું ઘરે પરણી જા, પરંતુ તે ના પાડતી હતી, આથી મેં ઘરકામ મુકાવી સારી જગ્યાએ ઠેકાણું ગોતી લગ્ન કરાવ્યા છે. બીજા લોકોને પણ સલાહ આપું છું કે, દીકરીની જેમ જ વહુને રાખજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *