અમદાવાદના પરિવારે માતમમાં પણ માનવતા ખીલવી… 28 વર્ષીય બ્રેઇનડેડ ભાવેશભાઇના અંગદાનથી ચાર લોકોને મળશે નવજીવન

Organ donation at Ahmedabad Civil Hospital: અમદાવાદ શહેર વ્યાપારની સાથે-સાથે હવે અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ અમદાવાદમાં વધુ એક પરિવારે અંગદાન(Organ donation at Ahmedabad Civil Hospital) કરી માનવતા મહેકાવી છે. જેમાં એક 28 વર્ષીય યુવકને ખેંચ આવ્યા બાદ મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ(Braindead) જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 133 મું અંગદાન થયું છે. મુળ ડુંગરપુરના અને લાંબા સમયથી અમદાવાદ વસતા 28 વર્ષીય ભાવેશભાઇને સતત માથું દુખવાની તકલીફ હતી. 20 મી સપ્ટેમ્બરના રોજ સખત માથું દુખ્યું અને પછી એકાએક ખેંચ આવી . જેથી પરિવારજનો તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.

અહીં ઇમરજન્સી કેર માટે દાખલ કર્યા બાદ તેમના રીપોર્ટસ કરાવવાં આવતા બ્રેઇન હેમરેજની જાણ થઇ‌ તબીબોએ 3 દિવસ તનતોડ મહેનત કરીને ભાવેશભાઇ જોષીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા‌. પરંતુ 23 સપ્ટેમ્બરે તબીબો દ્રારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી‌.

રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. હ્રદયને ગ્રીન કોરિડોર કરીને ગણતરીની મિનિટોમાં સિમસ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પહોંચાડવા આવ્યું.જ્યારે બંને કિડની અને લીવરને મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ કે, 28 વર્ષીય ભાવેશભાઇ જોષીના પરિવારજનો દ્રારા હ્રદયપૂર્વક કરાયેલું અંગદાન આજે ચાર વ્યક્તિઓને નવજીવન આપી ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 133 અંગદાન થયા છે. જેમાં મળેલા 429 અંગોએ 412 જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *