ગુજરાત હાઇકોર્ટમાં શરુ હિયરિંગ દરમિયાન ચાર લોકોએ ફિનાઈલ ગટગટાવ્યું- સામે આવ્યો ઘટનાનો LIVE વિડીયો

Suicide attempt in Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ હિયરિંગ દરમિયાન ચાર લોકોએ ફિનાઈલ ગટગટાવ્યું (Suicide attempt) હતું. હાઇકોર્ટમાં જજ નિર્જર દેસાઈ (Judge Nirjar Desai) ની કોર્ટમાં એક દંપતીએ શરૂ હિયરિંગમાં આપઘાત નો પ્રયાસ કર્યો હતો. બપોરના એક વાગ્યા આસપાસ ભરી કોર્ટમાં દંપતી સહિત ચાર લોકોએ ફિનાઈલ પી લેતા હાહાકાર મચી ગયો હતો. જ્યારે દંપતીએ ફિનાઈલ ગટગટાવ્યું ત્યારે વકીલો દૂર હટી ગયા હતા જ્યારે પોલીસે ચારેય ને અટકાવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ચારેય લોકો મોટાભાગનું ફિનાઈલ પી ચૂક્યા હતા.

હાઇકોર્ટમાં ફીનાઇલ પીનાર લોકોના નામ
શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ, જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ, હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ, મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ

જજ કોર્ટ છોડીને જતાં રહ્યાં હિયરિંગ અટક્યું
શરૂ હિયરિંગ દરમિયાન ફીનાઇલ પીધા બાદ, તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ચારેયને સારવારથી લઈ જવાયા હતા. તે દરમિયાન જજ નિર્જર દેસાઈ કોર્ટ છોડીને જતા રહ્યા હતા, જેને પગલે હિયરિંગ ત્યાં જ અટકી ગયું હતું. આ ઘટના બાદ પોલીસે પંચનામા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફીનાઇલની બોટલ, ઢાંકણું સહિત અનેક વસ્તુઓ કબજે કરી હતી. હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, હાઇકોર્ટ રૂમમાં ફીનાઇલ લઈને આ ચારેય પહોંચ્યા કઈ રીતે?

જાણવા મળ્યું છે કે, આપઘાતનો પ્રયાસ કરનારા લોકોએ કલર મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંકે લોનના નામે ફ્રોડ આચરતા પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ બેંકના જનરલ મેનેજર અને અન્ય કર્મચારીઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ધંધાર્થે લીધેલી લોન પાસ થયા બાદ પણ લોનની રકમ ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં નોંધાવ્યો હતો કે, લોન ની રકમ બેંકના જનરલ મેનેજર અને મેનેજરે ઓળવી ગયા.

બેંકના જનરલ મેનેજર અને મેનેજર એ બારોબાર લોન ની રકમ પચાવી પાડી
તમને જણાવી દઈએ કે, પીડિત શૈલેષભાઈ અને તેમના પત્ની જયશ્રીબેને ખાડિયામાં આનંદ નગરમાં આવેલી કલર મર્ચન્ટ બેંકમાંથી લોનની કાર્યવાહી કરી હતી. તેમની લોન પણ મંજૂર થઈ ગઈ હતી પરંતુ બેંક મેનેજર અને લોન કન્સલ્ટન્ટ એ સાથે મળીને લોન ની રકમ બારોબાર પચાવી પાડી હતી. જેને પગલે આ દંપતીએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ હેઠળ બેન્ક મેનેજર કિન્નરભાઈ અને મેનેજર અતુલ શાહ સાથે જ લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

શું કામ ભર્યું આવું પગલું?
સમગ્ર ઘટના અંગે હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એ જણાવતા કહ્યું કે, જેમણે પણ આપઘાત નો પ્રયાસ કર્યો હતો તે લોકોએ અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ વચેટિયા દ્વારા લોનની રકમ પચાવી પાડતા તેમણે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી, જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું જેને પગલે ત્યાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *