World Autism Awareness Day: “તારે ઝમીન પર” ના બાળક જેવી સુરતના હેરિકની કહાની તમને હચમચાવી નાખશે

World Autism Awareness Day: ફિલ્મ તારે જમીન પર સહુ કોઇએ જોયેલી હસે ત્યાં ઇશાનની વાર્તા કાલ્પનિક હતી. જેમાં ઇશાન ઑટિઝ્મની બીમારીથી પીડાઈ રહ્યો છે. ઑટિઝ્મગ્રસ્ત…

World Autism Awareness Day: ફિલ્મ તારે જમીન પર સહુ કોઇએ જોયેલી હસે ત્યાં ઇશાનની વાર્તા કાલ્પનિક હતી. જેમાં ઇશાન ઑટિઝ્મની બીમારીથી પીડાઈ રહ્યો છે. ઑટિઝ્મગ્રસ્ત બાળકની સંવેદનાસભર માહોલમાં સારસંભાળ રાખવામાં આવે તો અન્ય સ્વસ્થ બાળક જેવું જ હસતું-રમતું બની શકે છે.ઑટિઝ્મ ગ્રસ્ત બાળકો હંમેશા સુમસામ રેહતા હોય છે.તેમનો વિકાસ અન્ય બાળકો કરતા ધીમી ગતિએ થાય છે.

નિષ્ણાત બાલચિકિત્સક ડો.હિના દેસાઈ નું કેહવુ છે કે આમ તો ઑટિઝ્મએ કોઈ બીમારી નથી પરંતુ એક સ્પેફ્રીમ ડિસઓર્ડર છે. તો સોમનાથ ટ્રસ્ટના કાઉન્સેલર અમીતાબેન કહેવું છે કે ઑટિઝ્મના લક્ષણોની સમયસર ઓળખ થાય તો તેનાથી બચી શકાય છે. અને એ માટે દરેક શાળાઓમાં બાળકો નો આઈક્યૂ ટેસ્ટ કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.સુરત જિલ્લામાં બે વર્ષમાં ઑટિઝ્મના 27 કેસ નોંધાયા છે.

શારીરિક અને માનસિક અનેક સમસ્યાઓનું નિવારણ માત્ર દવા અને દુઆથી જ નહિ, પરંતુ વ્યક્તિને હૂંફ, સ્વીકાર અને યોગ્ય સમયે આપેલા સધિયારાથી પણ થતું હોય છે. ઑટિઝ્મ સામે લડવામાં પણ ધીરજ સાથે વ્હાલ અને વાત્સલ્યભાવ રામબાણ ઈલાજ બને છે. ઑટિઝ્મગ્રસ્ત બાળકની સંવેદનાસભર માહોલમાં સારસંભાળ રાખવામાં આવે તો અન્ય સ્વસ્થ બાળક જેવું જ હસતું-રમતું બની શકે છે.

સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા અને ઑટિઝ્મથી પીડાતા ૭ વર્ષીય હેરિક જરીવાલા ઑટિઝ્મથી પીડિત હોવા છતાં પેઈન્ટિંગ અને અલગ-અલગ રંગોને પારખવાની કુશળતા ધરાવતા હેરિકની કહાની ફિલ્મ ‘તારે જમીન પર’ના કિરદાર ‘ઈશાન અવસ્થી’ને હુબહુ મળતી આવે છે. હેરિકના મમ્મી ગાયત્રીબેન જણાવી રહ્યા છે કે,બાળક ઇશ્વરની દેન છે એટલે એવું પણ હોય તે પરિસ્થિતિમાં આપણે તેને સ્વીકારી લેવું જોઈએ માતા-પિતાનું કર્તવ્ય કહેવાય પોતાના બાળકને સ્વીકારી લેવું જોઈએ.

૩૦ વર્ષીય માતા ગાયત્રીબહેન જીવનના તમામ સંઘર્ષો અને અવરોધોને ઓળંગી હેરિકનો પ્રેમાળ ઉછેર કરી અન્ય માતા-પિતા માટે પ્રેરણાસ્રોત સાબિત થયા છે. માતાપિતાના હૂંફભરેલા ઉછેરથી ઑટિઝ્મગ્રસ્ત ૭ વર્ષીય હેરિકના જીવનમાં નવી રોનક છવાઈ છે. આજે જાણીએ હેરિકની કહાની. ગાયત્રીબેન જણાવે છે કે પેહલા જ્યારે હું જોબ કરતી ત્યારે હેરિકના જન્મના નવ મહિના બાદ ડે કેરમાં પરિચિત મહિલાની દેખરેખમાં હેરિકને રાખ્યો હતો.

હેરિકને તેના દૂધ, ખોરાકથી લઈ સુવા સુધીની તમામ બાબતોમાં આ પરિચિત મહિલા સાથે ઘનિષ્ઠતા અનુભવતો હતો.અઢી વર્ષનો થયા બાદ હેરિકને એક પ્રિ-સ્કૂલમાં દાખલ કર્યો. પરંતુ તેનો વ્યવહાર અન્ય બાળકો કરતા જુદો માલુમ પડતા તેના શિક્ષકે અમને મનોચિકિત્સકના નિદાન કરવાની સલાહ આપી હતી. વર્ષ ૨૦૧૮માં મનોચિકિત્સકે પ્રાથમિક નિદાન કરતાં રિપોર્ટમાં હેરિકને ઑટિઝ્મના ગંભીર લક્ષણો હોવાનું જણાયું હતું.

હેરિકને નાની-નાની વાતોમાં ગુસ્સે થવું, અન્ય સમવયસ્ક બાળકો સાથે ન રમવું, સમયસર પ્રતિક્રિયા ન આપવી, મૌખિક કમાન્ડ અને ઈશારાની પ્રતિક્રિયા આપવામાં સમસ્યા, ઊંઘ ન આવવી વગેરે લક્ષણો દેખાયા હતા.ઑટિઝ્મ તેમના માટે નવો પડકાર હતો, તેમ છતાં સામાન્ય આર્થિક પરિસ્થિતિના કારણે ગાયત્રીબહેને એકલા હાથે તમામ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી હેરિકને એક નવું જીવન આપવા પ્રયત્નો શરૂ કર્યા હતા.

હેરિકની ઑટિઝ્મની થેરાપી શહેરના સારનાથ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે શરૂ કરી હતી, અહીંની ચાઈલ્ડફ્રેન્ડલી થેરાપીના કારણે બાળકના વ્યવહારમાં હાલ ઘણો સુધાર આવી રહ્યો છે. ગાયત્રીબેન કહી રહ્યા છે કે,મારા બાળકને ઑટિઝ્મની સમસ્યા હોવાથી સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી શક્તિ નથી. હેરિકને પરિવારના અન્ય સભ્યો અને પાડોશીઓના બાળકોના દુર્વ્યવહારનો પણ સામનો કરવો પડતો હતો. બાળક એ ઈશ્વરની દેન છે. જેથી બાળક જેવું પણ હોય તે પરિસ્થિતિમાં તેને સ્વીકારવું એ માતા-પિતાનું પ્રમુખ કર્તવ્ય છે.

‘તારે જમીન પર’ ફિલ્મ મેં જોઈ છે, આ ફિલ્મમાં ડિસ્લેકસીયાથી પીડિત ઈશાનની કહાની મારા બાળક સાથે મેચ થાય છે. હેરિકની આવી સ્થિતિનો સામનો કરવા અને તેના માનસિક વિકાસને સતેજ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો, અને ઘરમાં જ હેરિકને સામાન્ય કરવા વિવિધ કવાયતો શરૂ કરી. જેમાં પઝલ, કલર બ્લોક્સ, વિઝન બોર્ડ, કાર્ડ્સ જેવી સુવિધાઓ તેમજ રમતો હેરિકને આ સમસ્યામાંથી ઉગારી લેવા કારગર સાબિત થઇ રહી છે. તે રંગોના અનેક પેટા રંગોને તુરંત ઓળખી શકે છે. તેની રંગો પારખવામાં માસ્ટરી છે.

કોરોનાકાળ અને લોકડાઉનના સમયનો સદુપયોગ પણ હેરિકના માનસિક વિકાસ માટે કર્યો હતો
ગાયત્રીબહેને અન્ય વાલીઓને શીખ આપતા કહ્યું હતું કે, માતાપિતાએ સૌપ્રથમ તો બાળકની મર્યાદાઓને ન અવગણતા તેનો સહજભાવે સ્વીકાર કરવો જોઈએ, અને તેની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા પ્રયાસ કરવો જોઈએ, તેની ક્ષતિઓને નહિ, પણ સંવાદ અને પ્રતિસાદને મહત્વ આપી ભરપૂર પ્રેમ અને સહકાર આપવો જોઈએ. તો જ બાળક આ સમસ્યાનો સામનો કરવાં માટે મજબૂત બનશે.

શહેરના નિષ્ણાંત બાળ ચિકિત્સક ડો.હિના દેસાઈ જણાવે છે કે, ઑટિઝમ કોઈ બિમારી નથી, પરંતુ એક સ્પેક્ટ્રમ ડિસઑર્ડર છે. જેનો ભોગ ખાસ કરીને ૨૬ અઠવાડિયા પહેલા જન્મતા અથવા ૧ થી ૩ વર્ષની વયના બાળકો બનતા હોય છે.ઑટિઝમગ્રસ્ત બાળકના માતા-પિતા યોગ્ય સમયે બાળકની સારવાર શરૂ કરાવવી અગત્યનું છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘરનું વાતાવરણ, મેદાની રમતો તેમજ સમતોલ આહાર હિતાવહ છે.

સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઑટિઝ્મના ૨૭ કેસ નોંધાયા છે. ઑટિઝમ ધરાવતા બાળકો, માનસિક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની સારવાર અર્થે રાજ્ય સરકારની “નિરામયા યોજના” હેઠળ દવાઓ, પેથોલોજી, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ વગેરે ઉપલબ્ધ છે.ઓટીઝમ પીડિતો માટે સરકારની નિરામયા યોજના મને મનોદિવ્યાંગ યોજના હાલમાં અમલી છે અને ઘણા બધા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે.રૂ. ૧ લાખ સુધીના આરોગ્ય વીમા કવચનો લાભ હાલમાં માનસિક દિવ્યાંગ અને ઑટિઝ્મગ્રસ્ત ૧૨૯૯ લાભાર્થીઓ લઈ રહ્યા છે.

આજે તા.૨ એપ્રિલે ‘વર્લ્ડ ઑટિઝ્મ અવેરનેસ ડે’ની વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ઑટિઝ્મ વિષે જાણવું જરૂરી છે. ઑટિઝ્મ એ એક ગંભીર ન્યૂરોલૉજિકલ ડિસઑર્ડર છે, જેમાં પીડિત બાળપણથી જ બીજા બાળકોની જેમ પોતાના પરિવારના સભ્યો અથવા આસપાસના વાતાવરણ સાથે ભાવનાત્મક કે સામાજિક રીતે જોડાઈ શકતા નથી.એટલે કે તેમને બીજાની વાત સમજવામાં, પોતાની વાત સમજાવવામાં અથવા બીજાની વાત પર પ્રતિક્રિયા આપવામાં મુશ્કેલી પડે છે .

સામાન્ય રીતે ઑટિઝ્મની કોઇ સારવાર નથી હોતી, પરંતુ સ્પીચ થેરાપી અને મોટર સ્કિલ થેરાપી જેવી કેટલીય પદ્ધતિ છે, જેનાથી ઑટિઝ્મને કંટ્રોલ કરી શકાય છે. આ સાથે જ સાવધાની અને પ્રેમ-હૂંફ આપવાથી ઑટિસ્ટિક બાળક પણ અન્ય સામાન્ય બાળકોની જેમ જીવન જીવી શકે છે.

મોટાભાગના માતા-પિતા સમાજમાં નીચા દેખાવાના બિનજરૂરી ભયથી પોતાના બાળકની આ પ્રકારની પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી, અને બાળકની અવગણના કરવા લાગે છે. એટલે જ ઑટિસ્ટિક બાળકનું જીવન સરળ અને સામાન્ય નથી હોતું, પરંતુ આવા વિકટ સમયમાં તેને આપવામાં આવતી હૂંફ અને વ્હાલ સ્વસ્થ થવામાં ખૂબ કારગર સાબિત થતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *