ગુજરાત વિધાનસભામાં માત્ર દોઢ વર્ષની અનાથ બાળકીને દત્તક લઈને આ વ્યક્તિએ આપ્યું નવજીવન. જાણો વિગતે

ઘરના પરિવારમાં એક દીકરી હોય અને બીજી દીકરીને દત્તક લેવાની વાત સમાજ માટે તેમજ સમાજના લોકો માટે ખૂબજ પ્રેરણાદાયી બની ચુકી છે. ખાસ કરીને ભારતીય…

ઘરના પરિવારમાં એક દીકરી હોય અને બીજી દીકરીને દત્તક લેવાની વાત સમાજ માટે તેમજ સમાજના લોકો માટે ખૂબજ પ્રેરણાદાયી બની ચુકી છે. ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને આ અમેરિકામાં રહેતા ભારતીય પતિ-પત્નીએ દીકરીને દત્તક લઇને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે જે અભિનંદનને પાત્ર છે તેમ રાજભવન ખાતે પતિ-પત્નીએ દીકરી દત્તક આપવાના દત્તકગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે કહ્યું હતું કે માત્ર દોઢ વર્ષની અનાથ બાળકીને દત્તક લઇને USA સ્થિત શ્યામ પરમેશ્વરન મોહન અને તેમના પત્ની અને મૂળ ગુજરાતી એવા પાયલ મોહને આ બાળકીને નવી જિંદગી આપી છે. આ દીકરીના આવવાથી શ્યામ મોહનના જીવનમાં- પરિવારમાં ખુશીઓ અને સમુદ્ધિ આવશે. કોઈ અજાણી વ્યક્તિને પોતાની દીકરી માનીને તેનામાં પોતાનાપણાનો ભાવ જાગે તે જ સાચી માનવતા છે. સુખી-સંપન્ન પતિ પત્ની એક બાળકી દત્તક તરીકે સ્વીકાર કરે છે ત્યારે સમાજ વધુ મજબૂત બને છે.

સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનને આ પ્રકારના પગલાથી ખૂબ જ બળ મળશે. કાંતિમાંથી નવું નામ ધારણ કરનાર દીકરી સીયાના પાલક માતા-પિતા એવા મોહન દંપત્તિને હું આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ ગૃહ અને શિશુ ગૃહ પાલડીની કામગીરીની સરાહના કરતાં કહ્યું હતું કે આજે પરિવારમાં દીકરી હોય એ ગૌરવની બાબત છે. એમાં પણ આજે શ્યામ મોહન કુટુંબ એ પોતાની એક દીકરી ઉપરાંત અન્ય એક દીકરી દત્તક લીધી છે તે તમામ માટે પ્રેરણારૂપ છે.

અહીં જણાવ્યું છે કે, મંત્રી પરમારે મંત્રી બન્યા બાદ પોતાનો પ્રથમ પગાર પણ આ શિશુગૃહને અનાથ બાળકોના કલ્યાણ માટે આપ્યો હતો. રાજ્યપાલ અને મંત્રીની ઉપસ્થિતિમાં બાળકીને દત્તક આપવા માટેની સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા બાદ વૈદિક મંત્રોચ્ચાર વિધિ અને સાંસ્કૃતિક પરંપરા મુજબ દીકરી શીયાને તેમના પાલક માતા-પિતાને દત્તક તરીકે આપવાની કામગીરી પૂર્ણ કરાઇ હતી.

મંત્રીના હસ્તે દીકરી શિયાનો USA નાગરિક તરીકેનો પાસપોર્ટ પણ વિધિવત રીતે તેમના માતા-પિતાને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીકરીને દત્તક લેનાર મોહન દંપતિએ પોતાના પ્રતિભાવો આપતાં કહ્યું હતું કે શિયાને દત્તક લેવાની ત્રણ વર્ષની પ્રક્રિયામાં સરકાર અને શિશુ ગૃહ પાલડીના કર્મયોગીઓ દ્વારા અમને ખૂબ જ સહકાર મળ્યો છે. અમે ગુજરાતી દીકરીને દત્તક લેવા બદલ ગૌરવ અનુભવીએ છીએ. આ માટે પતિ-પત્નીએ બધાં નો આભાર માન્યો હતો. ગુજરાત રાજ્ય બાળ આયોગના ચેરપર્સન જાગૃતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.

આ માટે ભારત  સરકાર દ્વારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરીટી –CARAની રચના કરવામાં આવી છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા આ સંસ્થાનું નિયમન કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૪થી કાર્યરત શિશુ ગૃહ પાલડી દ્વારા અત્યાર સુધીમાં કાયદાકીય પ્રક્રિયા બાદ અનેક અનાથ બાળકીઓને સુખી સંપન્ન માતા-પિતાને દત્તક આપીને નવુ જીવન આપ્યું છે. આ પ્રસંગે પંડ્યાએ શ્યામ મોહન પરિવારને અભિનંદન આપીને બાળકીને દત્તક લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ તેમજ ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેરના વાઇસ પ્રેસિડેન્ટ સી.કે. પટેલે સ્વાગત પ્રવચન કરીને શિશુ ગૃહ પાલડી, અમદાવાદની કામગીરીનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેર અને અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ મંડળના સંયુ્કત ઉપક્રમે શિશુ ગૃહ પાલડી અમદાવાદ સ્થિત અનાથ દીકરીને દત્તક આપવાના કાર્યક્રમમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેરના પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઇ રાવલ, શિશુ ગૃહ પાલડીના ટ્રસ્ટીજનો, સાહિત્યકાર અને લેખક ડૉ. ચંદ્રકાંત મહેતા સહિત દીકરીને દત્તક લેનારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *