16 વર્ષથી નાના બાળકોને ટ્યૂશન નહીં તો 6 વર્ષથી નાના બાળકને સ્કૂલમાં એડમિશન નહીં, જાણો સરકારના નવા નિયમો

6-Year Age for Class 1: કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ તમામ રાજ્યોને સૂચનાઓ જાહેર કરી છે. ધોરણ-1માં(6-Year Age for Class 1) પ્રવેશ માટેની વય મર્યાદા અંગે સૂચનાઓ જાહેર કરી છે. આ સૂચના રાજ્ય સરકારો સાથે તમામ કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર કરવામાં આવી છે. જાહેર કરેલી સૂચનાઓમાં NEP મુજબ ધોરણ-1માં એડમિશન લેવા માટે લઘુત્તમ વય મર્યાદા અપનાવવાનું કહેવામાં આવ્યું છે.

બાળકની લઘુતમ ઉંમર કરી નક્કી
રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય (MOE) એ 2020 માં NEP ની શરૂઆતથી ઘણી વખત જાહેર કરેલી સૂચનાઓનો પુનરોચ્ચાર કર્યો છે. ધોરણ-1માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી 6 વર્ષ હોવી જોઈએ. ગયા વર્ષે પણ આવી જ નોટિસ જાહેર કરવામાં આવી હતી.15 ફેબ્રુઆરી 2023ના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નવા શૈક્ષણિક સત્ર 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્ય/યુટીમાં ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમર હવે 6થી વધુ કરવામાં આવી છે.

3 વર્ષથી ઓછી ઉંમરના બાળકને પ્રી-સ્કૂલમાં મોકલવા ગેરકાયદેસર
3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રી-સ્કૂલમાં મોકલવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈ પણ પ્રી-સ્કૂલ એવા બાળકને પ્રવેશ આપી શકે નહીં કે જેણે 3 વર્ષ પૂર્ણ કર્યા ન હોય.

16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ
તો બીજી તરફ શાળાઓમાં યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવતું નથી જેને કારણે સરકારી શાળાઓ હોય કે ખાનગી શાળાઓ હોય તેમાં શિક્ષકો યોગ્ય રીતે અભ્યાસ કરાવતા નથી જેથી ના છૂટકે વાલીઓને ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિર્ભર રહેવું પડે છે જેને કારણે ટ્યુશન ક્લાસીસનો વ્યવસાય વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં એક આવશ્યક ભાગ બની ગયો છે ત્યારે હવે કેન્દ્ર સરકારે 16 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસમાં પ્રવેશ આપવો નહીં તેવો નિયમ લાગુ કરતા વિદ્યાર્થીઓના ભાવિ ઉપર તેમજ ટ્યુશન ક્લાસીસ સાથે સંકળાયેલા શિક્ષકોની રોજગારી પર સીધી અસર પડશે તેમ જાણવા મળે છે.

જો બાળકોને યોગ્ય ઉંમરે શાળાનું શિક્ષણ મળે તો તેમનો માનસિક અને શારીરિક વિકાસ સુધરે છે. બાળકોને શીખવા અને સમજવા માટે વધુ સમય મળશે, જે તેમની મૂળભૂત કુશળતા અને જ્ઞાન મેળવવાના સ્તરને મજબૂત કરશે. શાળામાં પ્રવેશ માટે એક વય રાખવાથી શિક્ષણ પ્રણાલીમાં એકરૂપતા આવશે. તેનાથી બાળકો પર અભ્યાસનું દબાણ ઘટશે અને તેઓ વધુ ખુશી અને આત્મવિશ્વાસ સાથે શીખી શકશે.