મજાક મજાકમાં મળ્યું મોત: અમદાવાદના 36 વર્ષીય યુવકે સ્ટંટ કરવા લમણે રિવોલ્વર મૂકી ફાયરિંગ કરતા મોત, જાણો વિગતે

Ahemdabad News: વેજલપુરમાં એક યુવકને પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી મજાક કરવું ભારે પડ્યું હતું. યુવકે રિવોલ્વરમાં(Ahemdabad News) ગોળીઓ ભરી પોતાના જ લમણાં પર રાખી મજાક કરતી વખતે ફાયરિંગ થયું કર્યું અને મોત મળ્યું. જે સમયે ઘટના બની ત્યારે યુવકની સાથે તેની સ્ત્રી મિત્ર અને ડ્રાઈવર પણ હાજર હતા. ત્યારે વેજલપુર પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતક યુવક મોટાપાયે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર ઘટના મામલે ખરેખર મજાકમાં જ ફાયરિંગ થયું છે કે અન્ય કોઈ કારણસર થયું તે બાબતે તપાસ શરૂ કરી છે.

પોતાની જ રિવોલ્વરથી પોતાને જ ગોળી વાગી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી રૂપેશ સોસાયટીમાં ગઈકાલે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક રૂપેશ પાર્ક સોસાયટીમાં પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલો રાજપૂત નામના 36 વર્ષના યુવકે પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. જેમાંથી ફાયર થયેલી ગોળી દિગ્વિજયસિંહ એટલે કે તેને પોતાને જ માથાના ભાગે લાગતા તેનું મોત નીપજયું હતું.

દિગ્વિજયસિંહનું ઘટનાસ્થળે જ મોત
મૃતક દિગવિજયસિંહ જમીન દલાલીનું કામ કરે છે. રૂપેશ પાર્ક સોસાયટીમાં તેના નવનિર્મિત બંગલામાં દિગ્વિજયસિંહ તેના ડ્રાઇવર સત્યદીપ વૈદ્ય અને મહિલા મિત્ર સાથે બેઠા હતા. આ સમયે મજાક-મજાકમાં પોતાની રિવોલ્વરમાં ગોળીઓ ભરી તેણે પોતાના જ લમણા પર રાખી હતી. આ લાઇસન્સવાળી રિવોલ્વરમાં ત્રણ કારતૂસ ભરી હતી અને ત્રણ કારતૂસની જગ્યા ખાલી હતી. રિવોલ્વરનું બે વાર ટ્રિગર દબાવ્યું, પણ આ બંનેમાં કારતૂસ ન રહેતાં કંઈ જ ન થયું પરંતુ, જ્યારે ત્રીજી વાર ટ્રિગર દબાવ્યું ત્યારે રિવોલ્વરમાંથી ભરેલી કારતૂસ છૂટી, ગોળી ફાયર થઈ અને દિગ્વિજયસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

FSLની ટીમ દ્વારા શરુ કરાઇ તપાસ
યુવકે બે વખત ટ્રિગર દબાવી હતી અને તે મજાક કરતો હતો કે ટ્રિગર દબાવવાથી કંઈ થાય નહીં, પરંતુ ત્રીજી વાર જ્યારે દિગ્વિજયસિંહ ફાયરિંગ કર્યું ત્યારે તેમાંથી ગોળી ફાયર થઈ હતી અને તેમાં તેનું મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટના બાદ વેજલપુર પોલીસ તેમજ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક દિગ્વિજયસિંહના ડ્રાઇવરનું નિવેદન નોંધ્યું હતું.

મૃતક નશામાં હતો કે નહીં તેની તપાસ થશે
નિવેદનમાં દિગ્વિજયસિંહ દારૂ પીવાની ટેવ વાળા હતા, તેવો પણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમજ ગધરાત્રીએ જ્યારે બનાવ બન્યો ત્યારે પણ દિગ્વિજયસિંહ નશો કરેલી હાલતમાં હોવાની શક્યતાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. એફએસએલ દ્વારા પણ હથિયાર તેમજ અન્ય મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.