સુરેન્દ્રનગરમાં માતાજીની બાધા પુરી કરવા જતાં નડ્યો અકસ્માત- કારના ફૂરચેફૂરચા ઉડી ગયા, 5 લોકોના ઘટના સ્થળે જ મોત

car and truck accident in surendranagar: સુરેન્દ્રનગરના લખતરના ઝામર ગામ નજીક આઇસર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોના મોત થયા છે. પલાસા ખાતે માતાજીની બાધા પુરી કરવા જતાં સમયે અકસ્માત નડ્યો હતો. બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે, સેન્ટ્રો કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મહિલા અને બાળકોનો પણ સામેલ હતા. લખતર-અમદાવાદ હાઇવે અકસ્માતનું એપીસેન્ટર બન્યું છે.

મળતી માહિતી અનુસાર, ઝમર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ કારમાં સવાર 5 વ્યક્તિના મોત થયા હતા. 4 દિવસમાં જ આ હાઇવે પર 5 લોકોના મોત થયા છે. ઘટનાને કારણે હાઇવે પણ પ્રભાવિત બન્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અત્રે ઉલેખનીય છે કે, આજે વહેલી સવારે દાહોદમાં ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે દાહોદ અલીરાજપુર હાઈવે પર MPથી દાહોદ તરફ જઈ રહેલી ટ્રક અને ઝરી ખરેલી ગામ તરફ જઈ રહેલી રીક્ષાની ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 6 લોકોના મોત થયા છે, તો બીજી તરફ રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે દાહોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને માહિતી મળતાની સાથે જ ગરબાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માત વહેલી સવારે થયો હતો. મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લહાયમાં ગેરકાયદેસર રીતે લોકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *