હવે સુરત APMCના ઉત્પાદનો વેચાશે સુમુલ પાર્લરમાં, APMC- SUMUL એ કર્યા MoU

Tie-up between Surat A.P.M.C and Sumul Dairy: નવરાત્રીના પ્રથમ નોરતે તારીખ 15 મીથી સુરત અને તાપી જિલ્લાના સુમુલના 150 પાર્લરો પર સુરત એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે.…

Tie-up between Surat A.P.M.C and Sumul Dairy: નવરાત્રીના પ્રથમ નોરતે તારીખ 15 મીથી સુરત અને તાપી જિલ્લાના સુમુલના 150 પાર્લરો પર સુરત એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે. એ.પી.એમ.સી. અને સુમુલ ડેરી વચ્ચે આ પહેલ અંતર્ગત ટાઈ-અપ કરવામાં આવ્યું છે. એ.પી.એમ.સી. ચેરમેન અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત એ.પી.એમ.સી સુરત સમગ્ર દેશમાં પ્રગતિશીલ બજાર સમિતિ છે. 1998 માં બનેલી સુરત એપીએમસીમાં સુરત જિલ્લાના અલગ અલગ તાલુકા ઉપરાંત દેશના અન્ય જિલ્લાઓમાંથી પણ રોજિંદા શાકભાજી વેચાણ અર્થે આવે છે. એ.પી.એમ.સી સુરત દ્વારા વર્ષે રૂ. ૨૬૦૦ કરોડનું શાકભાજી વેચાય છે. ઉપરાંત, ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટ, બાયોગેસ પ્લાન્ટ, AC રિટેલ માર્કેટ જેવા આગવા પ્રોજેકટો હોય એવી એક માત્ર એ.પી.એમ.સી છે, આ પ્રોજેક્ટ્સનું સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે.

સંદિપભાઈ દેસાઈએ કહ્યું કે, ખેડુતો માટે, ખેડુતો દ્વારા ચાલતી આ સંસ્થાના ફુડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં વેલ્યુ એડિશન કરી પ્રોડકટસ બનાવવા માટે ખેડૂતો પાસેથી સીધા માલની ખરીદી કરી કોઈપણ પ્રકારની ભેળસેળ વગર મેંગો પલ્પ, કેચઅપ, જ્યુસ, ટોમેટો પ્યુરી, અથાણા, જામ વિગેરે જેવી કુલ ૧૭ પ્રકારની પ્રોડકટસ તૈયાર કરવામાં આવે છે. આ તમામ પ્રોડકટસનું એ.પી.એમ.સી મારફતે યુ.કે, યુ.એ.ઈ., રશિયા, જાપાન, કોરિયા, જર્મની જેવા અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે, ત્યારે સુરત શહેર, તાપી જિલ્લાની જનતાને પણ આ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સહેલાઈ મળી રહે એ માટે બજાર સમિતિ-સુરત અને સુમુલ ડેરીએ ટાઈઅપ કર્યું છે. જે મુજબ તારીખ 15/10/2023 ના થી સુમુલ ડેરીના સુરત શહેર-જિલ્લા તેમજ તાપી જિલ્લામાં આવેલ ૧૫૦ જેટલા પાર્લરો અને આઉટલેટ ઉપર ઉપલબ્ધ થશે.

સંદિપભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે. સુરત APMCનું વિસ્તરણ કાર્ય હાથ ધરવામાં આવશે. શાકભાજી લઈને આવતા ટ્રક, ટેમ્પો, કાર સહિતના વાહનો APMC માં સીધા પહેલા માળે પહોંચી જાય તે માટે વિશાળ રેમ્પ સહિત ફ્લાયઓવર તેમજ ૧૪ બાય ૧૭૦ ફૂટના ગાળાવાળી માર્કેટ બનાવાશે. આ સાથે જ રાજ્યમાં ફ્લાયઓવર ધરાવતી સુરત એપીએમસી પ્રથમ શાકમાર્કેટ બની જશે. પહેલા માળે ૧૦૮ ગાળા તૈયાર કરાશે. ઉપરાંત બે ગાળા વચ્ચે ૧૦૦ ફૂટ પહોળો રસ્તો બનાવવામાં આવશે, જેથી શાકભાજી લઈને આવતા ટ્રક, ટેમ્પો સહિતના વાહનો પાર્ક કરી શકાય.

તેમણે જણાવ્યું કે, સુરતમાં નવી અને અદ્યતન ફૂલ, ફળો, અને અનાજની માર્કેટના નિર્માણનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે, જે માટે જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. આ માર્કેટ ઝડપભેર સાકાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *