રાજકોટની ‘અંબા’ બની ઈટાલીની નાગરિક- 2 વર્ષ પહેલા તરછોડાયેલી ફૂલ જેવી દીકરીને ઈટાલીના દંપતીએ દત્તક લીધી

ફેબ્રુઆરી 2020માં તરછોડાયેલી રાજકોટની દીકરી ‘અંબા’ને દત્તક લેવા આજે ઈટાલીનો પરિવાર રાજકોટ આવી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે…

ફેબ્રુઆરી 2020માં તરછોડાયેલી રાજકોટની દીકરી ‘અંબા’ને દત્તક લેવા આજે ઈટાલીનો પરિવાર રાજકોટ આવી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા’ તીક્ષ્ણ હથિયારના 20 ઘા મારેલી હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. ત્રણ મહિના બાદ હોસ્પિટલના બિછાને મોતને હરાવી જીત મેળવી હતી. તે દરમિયાન કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ તત્કાલીન CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્યો છે. અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી છે.

લાડકવાયી અંબાને હવે માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા દોઢ વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોની સાથે ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. દત્તકવિધિ માટે પ્રોસિજર કરવામાં આવી હતી જેમાં ઈટાલીના ગુંથર અને કેટરિનએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને આજે તેઓ અંબાને લેવા માટે રાજકોટ આવી પહોંચ્યા છે. ખુશીની વાત એ છે કે, અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતના છતીસગઢ ખાતેથી તેજરામ નામના બાળકને 4 વર્ષ પહેલા દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે. નોંધનીય છે કે, આ સમયે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ ક્રિપાલસિંહ જાડેજાએ દીકરી અંબાને ચાંદલો કરી પગે લાગી ‘રિદ્ધિ દે સિદ્ધિ અષ્ટ નવ નિધિ દે’ પંક્તિનું પઠન કર્યું હતું.

અંબાની માતા કેટરિનાએ જણાવ્યું હતું કે, હું ઇટાલીની એક હોસ્પિટલમાં નર્સીંગની કામગીરી કરી રહી છું. મને અને મારા પતિને ભારત અને તેમના લોકોનો સ્વભાવ ખુબ પસંદ હોવાથી અમે બીજું બાળક પણ ભારતમાંથી દત્તક લેવા નિર્ણય કર્યો છે. ઇટાલીમાં સંયુક્ત પરિવાર સાથે રહેતા હોવાથી અને પ્રથમ બાળક દત્તક લીધાના ચાર વર્ષ બાદ ફરી બાળક દત્તક લેવાની ઈચ્છા થતા અમે અંબાને દત્તક લીધી છે. હવે એક વર્ષ સુધી હું મારી જોબ છોડી અંબાની સંભાળ કરીશ અને તેના અભ્યાસ બાદ આગળ તે ઇચ્છશે તે બનાવવા તમામ મહેનત કરીશ.

જાણવા મળ્યું છે કે, પ્રથમ દત્તક લીધેલ બાળક તેજરામ આજે 6 વર્ષનો થયો છે તે જર્મન ભાષા બોલે છે. તેજરામ પણ બે વર્ષનો હતો ત્યારે તેને છતીસગઢમાંથી દત્તક લેવામાં આવ્યો હતો. દત્તક લીધા બાદ તેની સંભાળ રાખવી થોડી મુશ્કેલ છે પણ અમને ભારતીય લોકો ખુબ જ ગમે છે માટે અંબાને પણ દત્તક લીધી છે. પિતા ગુંથર જણાવ્યું હતું કે, આજે લાંબા સમય બાદ અમે જે ક્ષણની રાહ જોતા હતા તે ક્ષણ આવી છે અમે અંબાને મળ્યા છીએ. આજે મારા બાળક તેજરામને બહેન મળી છે અમે ખુબ ખુશ છીએ.

આ અંગે બાલાશ્રમના સુપરિન્ટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસડિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હોસ્પિટલમાંથી વહાલસોયી દીકરીને પરિવાર મળ્યો છે. અંબા શારીરિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે અંબા બે વર્ષની થઈ છે અને હવે સંપૂર્ણ સ્વસ્થ છે. નોંધનીય છે કે, અત્યારસુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 જેટલાં બાળકો વિદેશ પહોંચ્યાં છે. આજથી બે વર્ષ પહેલાં શહેરની ભાગોળે ઠેબચડાની સીમમાંથી અંબા મળી હતી. આ દરમિયાન, કૂતરાના મુખમાંથી આસપાસના યુવકોએ તેને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્રણ મહિનાની સારવાર બાદ તે સ્વસ્થ થઈ હતી.

જણાવી દઈએ કે, 2020ના ફેબ્રુઆરી મહિનામાં મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108ની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને લિવર સુધી ઘા પહોંચ્યા હોવાથી તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ઠેબચડાની સીમમાંથી બાળકીને ઉઠાવીને જતા શ્વાનના મોઢામાંથી અંબાને છોડાવીને તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. બાળકીને માત્ર શ્વાનના દાંતની જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારના 20 ઘાની પણ ઇજા થઈ હતી.

બાદમાં અંબાની હાલત વધુ કફોડી બનતાં તત્કાલીન કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી તેને અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અંબા પર ઝનૂનથી ઘા ઝીંકવામાં આવ્યા હતા અને એને કારણે શરીરના ઊંડાણ સુધી તેની ઇજા પહોંચી હતી. લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી લિવર સહિતના ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા હતા. ત્રણ મહિના સુધી સારવાર ચાલતા અંબા સ્વસ્થ બનતાં કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી. અહીં તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે.

ત્યારબાદ 8મી માર્ચ 2020ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અમૃતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી દીકરી અંબાની મુલાકાત લેવામાં આવી હતી. અંબાને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતાં જણાવ્યું હતું કે, ‘વહાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું એનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું.’

મળતી માહિતી મુજબ, ગઈ નવરાત્રિમાં માતાજીના પહેલા નોરતે રાજકોટ પોલીસની દીકરી અંબાને પોલીસ હેડક્વાર્ટર સ્થિત અંબે માતાજી મંદિર ખાતે લાવી માતાજીના ખોળામાં બેસાડી તેના લાંબા સ્વસ્થ અને નીરોગી આયુષ્ય માટે પ્રાર્થના કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *