સુરતના દરિયામાં તણાયો 14 વર્ષનો લખન- ગણપતિની મૂર્તિના લાકડાના સહારે 36 કલાક મોત સામે ઝઝૂમતો રહ્યો, માછીમારોએ બચાવ્યો જીવ

14 year old boy drowned in Surat sea: ગણેશોત્સવ બાદ ગણેશ વિસર્જન કરાયું અને એ જ વિઘ્નહર્તાએ પોતાના ભક્તને દરિયામાંથી બચાવ્યો. આ વાત તમને ફિલ્મી કહાની લાગશે પરંતુ સમગ્ર સત્ય ઘટના સુરતમાંથી સામે આવી છે. 14 વર્ષના એક કિશોરે તોફાની દરિયામાં 36 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચેની લડાઈ જીતી. દરિયામાં 36 કલાક સુધી લખન એક લાકડાના સહારે રહ્યો અને ગણપતિજીએ ભક્તની રક્ષા પણ કરી…

સુરતના મોરાભાગળનો 14 વર્ષનો દીકરો લખન વિશાલભાઈ દેવીપુજક ગઈકાલે અંબાજી દર્શન બાદ ડુમ્મસના દરિયા કિનારે ન્હાવા પડતા પૂનમની ભરતીના ઘસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ(14 year old boy drowned in Surat sea) ગયો હતો. સમગ્ર ઘટના અંગે જાણ થતા દેવીપુજક સમાજના અગ્રણી સુરેશભાઈ વાઘેલા તાત્કાલિક ડુમસ પોલીસનો સંપર્ક કરી શોધખોળ કામગીરી માટે જાણ કરી હતી. પોલીસ અને વહીવટી તંત્રની સતર્કતા અને સતત પ્રયત્નોને કારણે લખન વિશાલભાઈ દેવીપુજક જામનગર અને વલસાડના દરિયા વચ્ચે બીલીમોરાના ભાટપોર પાસે લાકડાના સહારે તરતો મળી આવ્યો હતો.

નવસારી SP સુશીલ અગ્રવાલે આ ઘટના વિશે જણાવ્યું કે, શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષનો લખન સુરતના ડૂમસ બીચથી દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય બાદ દરિયામાં લાકડાની પાટ મળતાં તે પાટ પર બેસી ગયો હતો. સુરતમાં ડૂબેલો લખન સતત 36 કલાક સુધી દરિયામાં પાણી અને ભોજન વિના તરતો રહ્યો હતો. જે બાદ ડૂમસથી 60 કિમી દૂર નવસારીના ધોલાઇ બંદર પાસે જોવા મળ્યો હતો.

SP દીપ વકીલએ સતત શોધખોળ જારી રાખી હતી. બાળકના બચાવ માટે સ્પીડ બોટની જરૂર પડતાં તાત્કાલિક હજીરા સ્થિત એલ એન્ડ ટી અને અદાણી પોર્ટનો સંપર્ક કર્યો હતો. બપોરથી અદાણી પોર્ટ, રિલાયન્સ તથા સ્થાનિક માછીમાર ભાઈઓ સાથે મળી અન્ય બોટ વલસાડથી રવાના થઈ હતી.  તેઓએ જણાવ્યું કે, 36 કલાકમાં દરિયામાં લખન 22 નોટિકલ માઇલ દૂર નવસારી પહોચ્યો હતો. આ દરમિયાન માછીમારોની નજર પાણીમાં તેના પર પડતા તેઓ તાત્કાલિક બોટ તેની પાસે લઈને પહોંચ્યા અને તેને બચાવી લીધો હતો. માછીમારોએ લખનને તેમની બોટમાં બેસાડી પોલીસ પ્રશાસનનો સંપર્ક કર્યો હતો અને સવારે 5 વાગ્યે બોટમાં લખનને સલામત લઈને ધોલાઈ પહોંચ્યા હતા.

પિતાને સમાચાર મળ્યા કે, તેમનો પુત્ર દરિયામાંથી જીવતો મળ્યો છે. અને તેને કાંઠે લાવવામાં આવી રહ્યો છે. જે બાદ તે નવસારીના ધોલાઈ બંદરે પહોંચ્યા હતા અને પુત્રને ક્યારે લવાશે તેની રાહ જોઈ રહ્યા હતા. થોડા સમય રાહ જોયા બાદ પિતાની આતુરતાનો અંત આવ્યો અને પુત્ર લખનને જીવતો લઈને માછીમારોની બોટ કાંઠે પહોંચી. લખનને સહીસલામત બોટમાંથી નીચે ઉતાર્યો.

જે પુત્રની ડેડબોડીની રાહ જોવાતી હતી તે આંખ સામે જીવતો જોવા મળતા પિતા તેને ભેંટીને રડી પડ્યા… આ સમયે નવસારી પોલીસની ટીમ પણ બંદરે પહોંચી હતી. લખન 3 દિવસ બાદ જમીન પર પહોંચતા જ 108 અને તબીબોની ટીમે તાત્કાલિક તેની સારવાર કરી હતી. તબીબ અને પોલીસના મતે દરિયામાં 36 કલાક સુધી જિંદગી અને મોતની લડાઈ લડી ચુકેલા લખનની તબિયત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *