સારંગપુરમાં મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

Sarangpur News: ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સનાતન સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આ દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ…

Sarangpur News: ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સનાતન સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આ દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ કરીને રામરાજ્યનું સ્થાપન કર્યું હતું. છપૈયા ગામમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે જન્મ(Sarangpur News) ધારણ કરી આ ધરા પર ધર્મનું સ્થાપન કર્યું હતું. તીર્થધામ સારંગપુર ખાતે ભગવાન શ્રીસ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

મહંતસ્વામી મહારાજ સાળંગપુર પધાર્યા હતા
BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજ અમેરિકા રોબિન્સસ્વિલેમાં ભવ્ય અક્ષરધામ અને અબુધાબી ખાતે BAPS હિન્દુ મંદિરની પ્રતીષ્ઠા કરીને સાળંગપુર પધાર્યા હતા. આ પવિત્ર પર્વનો શુભારંભ તેઓનાં પૂજાદર્શનથી સવારે 6:30 થયો, જેમાં અનેક ભક્તો-ભાવિકો દર્શન માટે પધાર્યા હતા. પ્રાતઃપૂજા બાદ ભક્તોને આશીર્વાદ અર્પતા જણાવ્યું કે, ‘ચૌદ લોકનું એક બ્રહ્માંડ તેવા અનંત કોટી બ્રહ્માંડ છે. તેમાંથી ભગવાન આ બ્રહ્માંડમાં આવ્યાં.

અતિ કૃપાએ કરીને તેઓ આપણા જેવા થઈને, આપણી સાથે રહ્યાં. પ્રત્યેક જીવને કલ્યાણના માર્ગે આગળ વધારવા માટે અહીં આવ્યાં છે. આ કોઈ કલ્પના નથી પરંતુ, હકીકત છે.’ પૂજા દર્શનના અંતે, નિવૃત્ત IAS અધિકારી ડૉ. કિરીટભાઈ શેલત દ્વારા લખાયેલ પુસ્તક ‘મહાન ઋષિ મહંતસ્વામી મહારાજ‘ પુસ્તકનું વિમોચન સદ્ગુરુવર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું.

શ્રીરામ જન્મોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો
બપોરે 12 વાગ્યે ભગવાન શ્રીરામ જન્મોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. જેમાં પ્રભુ શ્રીરામજીની આરતી ઉતારી તેમને અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું. સાથે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ આગળ વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની મુખ્ય સભા સાંજે 8:00 થી રાત્રે 10:30 સુધી ભવ્યતા-દિવ્યતાથી ઊજવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુહરિ શ્રીમહંતસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતી ઐતહાસિક આરતીની પંક્તિઓ પર વિશેષ પ્રવચનોની શૃંખલા રચવામાં આવી હતી.

જેમાં સંસ્થાના સદ્ગુરુવર્ય સંત પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી, સાથે સંસ્થાના વરિષ્ઠ સંતો પૂજ્ય નારાયણમુનિ સ્વામી, પૂજ્ય ભદ્રેશ સ્વામી, પૂજ્ય ભક્તિસાગર સ્વામી, પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી તથા પૂજ્ય આદર્શજીવન સ્વામી આદિ સંતોએ આરતી ઉપર સુંદર મનનીય પ્રવચન કર્યા. સ્વયં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ આશિષ અર્પ્યા. જેમાં તેઓએ ભગવાનના વિશેષ મહિમાગાન દ્વારા ભગવાન શ્રી રામ તથા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું .

7000થી વધુ ભક્તો અને ૪૫૦થી વધુ સંતોએ આ મહોત્સવનો પ્રત્યક્ષ લાભ લીધો
અત્રે ઉલ્લેખનીય છે કે, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે લખાયેલ ગ્રંથ સત્સંગ દીક્ષાનું વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયું છે. તેમાં એક અધિક પૃષ્ઠ ઉમેરાયું. જેમાં પોલેન્ડની પોલિશ ભાષામાં અનુવાદ થયું અને તેનું વિમોચન કરવામાં આવ્યું.અંતે સૌ સંતો-ભક્તોએ હારતોરા દ્વારા સ્વામીશ્રીને વધાવ્યા અને 10:00 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવના કીર્તનોની રમઝટ શરૂ થવા લાગી.

આજે 7000થી વધુ ભક્તો અને ૪૫૦થી વધુ સંતોએ આ મહોત્સવનો પ્રત્યક્ષ લાભ લીધો. ખરેખર, સમગ્ર દિવસ દરમ્યાન BAPS સંસ્થાના લાખો ભક્તોએ કરેલ નિર્જળા ઉપવાસ અને સભામાં કરેલુ કથાવાર્તાનું શ્રવણ આદિ સૌને અહોભાવ ઉપજાવે છે, જે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં તેઓના જન્મોત્સવે ભક્તોની યથાર્થ શ્રદ્ધાંજલિ છે.