સાઉથ આફ્રિકા ભારતમાં એકપણ T-20 સીરીઝ નથી હાર્યું- શું આજે ટીમ ઇન્ડિયા રચશે ઈતિહાસ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પાંચમી અને અંતિમ T20 મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની શ્રેણી હાલમાં 2-2થી બરાબર છે. આજે ટીમ…

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પાંચમી અને અંતિમ T20 મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની શ્રેણી હાલમાં 2-2થી બરાબર છે. આજે ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક છે. અત્યાર સુધી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને દેશમાં T20 શ્રેણીમાં હરાવી શકી નથી.

સાઉથ આફ્રિકા પ્રથમ વખત ટી20 સિરીઝ રમવા માટે વર્ષ 2015-16માં ભારત આવ્યું હતું. 3 મેચની આ શ્રેણીમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી T20 મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આ શ્રેણીમાં ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો.

તે જ સમયે, આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ 2019-20માં T20 શ્રેણી રમવા માટે ભારત આવી હતી. આ શ્રેણીમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો. 3 મેચની સીરીઝ 1-1 થી બરાબર રહી હતી અને આ સીરીઝમાં પણ એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

હવે આજે ટીમ ઈન્ડિયા માટે પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહેલા ઋષભ પંત પાસે મેચ જીતવાની સાથે સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની સુવર્ણ તક છે.

હવામાન રમત બગાડી શકે છે
હવામાન પાંચમી ટી-20માં રમત બગાડી શકે છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ બેંગલુરુમાં રવિવારે આખો દિવસ વરસાદની સંભાવના છે. Accuweather.com અનુસાર, બેંગલુરુમાં રવિવારે સાંજે તાપમાન 21 ડિગ્રી રહેશે અને વરસાદની સંભાવના 50 ટકાથી વધુ છે. તે જ સમયે, પવનની ઝડપ 28 કિમી પ્રતિ કલાક રહેશે.

કેવી હશે પીચ?
ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને મદદ કરશે. આવી સ્થિતિમાં, ટોસ જીતનાર કેપ્ટને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવો જોઈએ, કારણ કે અહીં લક્ષ્યનો પીછો કરવો ખૂબ જ સરળ છે. સાથે જ સ્પિન બોલરોને પણ અહીં મદદ મળવાની આશા છે.

હેડ ટુ હેડ રેકોર્ડ પણ જાણો
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 11માં જીત મેળવી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા આઠ મેચ જીતવામાં સફળ રહ્યું છે. બંને ટીમો ભારતની ધરતી પર આઠ વખત આમને-સામને આવી ચુકી છે, જેમાંથી દક્ષિણ આફ્રિકાએ પાંચ મેચ જીતી છે. ભારતે ઘરઆંગણે ત્રણ મેચ જીતી છે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારતે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર બેમાં જ જીતી શકી છે અને ત્રણ મેચ હારી છે. ભારતે આ મેદાન પર બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે.

કાર્તિક-હાર્દિક પાસેથી ફરી આશા
રાજકોટમાં રમાયેલી ચોથી T20માં દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાએ ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે 35 બોલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. કાર્તિકે 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિકે 31 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી. છેલ્લી T20માં પણ આ બંને ખેલાડીઓની અપેક્ષા રાખવામાં આવશે. આ બંને ખેલાડીઓ ટીમના મિડલ ઓર્ડરમાં ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ઋષભ પંત અને શ્રેયસ અય્યરનું બેટ સમગ્ર શ્રેણી દરમિયાન શાંત રહ્યું છે.

કાર્તિકે આ સિરીઝની 4 મેચમાં 46ની એવરેજથી 92 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 158.62 છે. તે જ સમયે, હાર્દિક પંડ્યાએ શ્રેણીની 4 મેચમાં 153.94ના સ્ટ્રાઈક રેટથી 117 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *