સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહ-સુરત ફ્લાઇટના 160 પ્રવાસીઓએ કર્યા ‘યમરાજના દર્શન’! રનવે પાસે પાર્ક થયેલાં ટ્રક સાથે ટક્કર, જાણો વિગતે

Surat International Airport: ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ(Surat International Airport) સાથે મોટી દુર્ઘટના થતાં થતાં માંડ બચી હતી. બુધવારે રાત્રે 11ઃ15 કલાકે શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રન-વેથી એપ્રેન તરફ જઈ રહી હતી. આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી.180 સીટર ફ્લાઇટમાં 162 યાત્રીઓ હતા,સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે.

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી
ખરેખર વાત એમ છે કે, ગુરુવારે રાત્રે એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહથી સુરત આવેલી ફ્લાઇટનું એરક્રાફટ સુરત એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને લીધે ખોટકાતાં આ એરક્રાફ્ટને સુરત એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. મુંબઈથી આવેલા ટેક્નિકલ એક્સપર્ટ દ્વારા આજે દિવસભર ખામી દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. એના લીધે ગુરુવારે વિમાન સુરતથી શારજાહ રવાના થયું ન હતું. ગુરુવારની સુરત-શારજાહ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારની સુરતથી શારજાહની ફ્લાઇટ પણ વિલંબથી જશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.

ઘટના શું બની હતી?
એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ નિયમિત સમયે સુરત એરપોર્ટના રનવે પર લેન્ડ થઈ હતી. રાત્રિના 11ઃ15 કલાકે શારજાહથી આવેલી ફ્લાઇટ લેન્ડ થયા બાદ એપ્રેન તરફ જઈ રહી હતી ત્યારે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આથી વિંગ ડેમેજ થઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી.180 સીટર ફ્લાઇટમાં 162 યાત્રીઓ હતા.

શુક્રવારે રાત્રે ફ્લાઈટ રવાના થાય તેવી સંભાવના
ગઈકાલથી સુરત શારજાહનું એરક્રાફ્ટ સુરત ખાતે ગ્રાઉન્ડ થયું હોવાથી શુક્રવારની રાતે 12:15 કલાકે શારજાહ જતી ફ્લાઇટ સવારે 5 કલાકે રવાના થવાની સંભાવના છે. સામાન્ય રીતે મુંબઈ-શારજાહ સુરત રોટેશનમાં એરક્રાફ્ટ આવે છે, પણ શુક્રવારે વારાણસી-શારજાહ સુરત રોટેશનમાં આવશે. જેથી શારજાહથી સાંજે 6:35 કલાકને બદલે આશરે 4 કલાક મોડી ડિપાર્ટ થશે.

મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા
ટ્રક સાથે વિમાનની પાંખ અથડાવવાના કારણે વિમાનની પાંખને સામાન્ય નુકસાન પહોંચ્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના પગલે વિમાનમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને એરપોર્ટ પર ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. મુસાફરો એરપોર્ટ ઓથોરિટીની આ બેદરકારી બદલ ગંભીર ટીકા કરી રહી છે.