મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો- આંબેડકર બ્રિજમાં પડ્યું મસમોટું ગાબડું

Mehsana Ambedkar Bridge: મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ત્રણ ફૂટ જેટલું ગાબડું પડી જતા આજે વહેલી સવારથી બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઇને વાહનચાલકોને અન્ય રસ્તોથી જવાનો વારો આવ્યો છે. આ બ્રિજ(Mehsana Ambedkar Bridge) અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં માત્ર રિપેરિંગ જ કરવામાં આવતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો અધિકારી કહી રહ્યા છે કે, એક્સપર્ટની સલાહ લઇને આગળની કાર્યવાહી કરીશું. 20 દિવસ આ બ્રિજ બંધ રાખવામાં આવશે.

બ્રિજને રીપેર કરવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ હતી
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે. મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ આજે વહેલી સવારે બેસી ગયો હતો. બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું હતું. બ્રિજ પર ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બ્રિજને રીપેર કરવા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2014માં આ બ્રિજ બનીને તૈયાર થયો હતો.

અગાઉ પણ આંબેડકર બ્રિજ તૂટ્યો છે
આ પહેલીવાર નથી કે બ્રિજ પર ગાબડા પડ્યા હોય, આ પહેલા પણ વરસાદમાં બ્રિજ ચાર વખત તૂટ્યો છે અને દર વખતે તંત્ર પોતાની આબરૂ બચાવવા માટે થીગડાં મારે છે. આ બ્રિજ પર દરરોજ અનેક વાહનો પસાર થાય છે ત્યારે વાંરવાર બ્રિજ તૂટવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં તંત્ર નક્કર પગલાં લેતું નથી.

2014માં આ બ્રિજ બનાવાયો હતો
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહેસાણા વિસનગર લિંક રોડ પર રામોસણા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ 10 ફેબ્રુઆરી 2014માં કામ સંપન્ન થયું હતું. ત્યારબાદ 14 એપ્રિલ 2017માં ડો.બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજ તરીકે નામ આપવામાં આવ્યું હતું. આ બ્રિજનું પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે નામકરણ કરવામાં આવ્યું હતું.

2022માં રૂપેણ નદી પર બની રહેલો બ્રિજ બેસી ગયો હતો
આ પહેલાં પણ એપ્રિલ 2022માં મહેસાણાના સોનેરીપુરા પાટિયા પાસે ઊંઝા રૂપેણ નદી પર બની રહેલો બ્રિજ નમી પડતાં કંપનીની નબળી કામગીરી છતી થઈ હતી. સિક્સ લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ત્યાર તે બ્રિજનો ભાગ પણ બન્યા પહેલા નમી પડ્યો હતો. મહેસાણા-ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પર બની રહેલા બ્રિજનો કેટલોક ભાગ બેસી જતા કંપનીની નબળી કામગીરી છતી થઈ હતી. મહેસાણા-ઊંઝા હાઇવે પર સોનેરીપુરા પાટિયા પાસે રૂપેણ નદી પર રણજિત બિલ્ડકોન કંપની બ્રિજ બનાવી રહી હતી. ત્યારે નિર્માણાધીન બ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હતો. રણજિત બિલ્ડકોનનો બ્રિજ અમદાવાદમાં પણ તૂટી પડ્યો હતો.