વાવાઝોડા વચ્ચે સુરતથી મુંબઈ પહોંચ્યું ધડકતું હ્રદય, બ્રેઈનડેડ યુવકના અંગદાનથી 6 લોકોને મળ્યું નવજીવન

Organ donation of brain dead youth, Surat: મૂળ ગામ ઓઝવલીયા, પો. બસરીખાપુર જી. બલીયા, ઉત્તરપ્રદેશ અને હાલ ૨૫૩, સૂર્યકિરણ સોસાયટી, ગામ. ખરચ તા. હાંસોટ, જી. ભરૂચમાં રહેતો દયાનંદ ખરચ ખાતે આવેલ GSFC ફાયબર યુનિટની કોલોનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. દયાનંદ ૧૨ જૂનના રોજ સવારે બાથરૂમમાં પડી જતા બેભાન થઇ ગયો હતો, પુત્ર રવિ અને દયાનંદ સાથે સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો અજયકુમાર સિંગ તેને કોસંબામાં આવેલ એપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. (Organ donation Surat)

ત્યાં નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. વધુ સારવાર માટે પરિવારજનોએ દયાનંદને ૧૩ જુનના રોજ સુરતની મૈત્રેય મલ્ટી સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. જૈનીલ ગુરનાનીની સારવાર હેઠળ દાખલ કર્યો.

તારીખ 14 જુનના રોજ ન્યુરોસર્જન ડૉ. જૈનીલ ગુરનાની, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અલોક શાહ અને મેડિકલ એડમીનીસ્ટ્રેટર ડૉ.પ્રણવ ઠાકર અને ડૉ. બ્રિજેશ મોરડિયાએ દયાનંદને બ્રેનડેડ જાહેર કર્યો. ન્યુરોસર્જન ડૉ. જૈનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, દયાનંદના બ્રેઈન ડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દયાનંદની પત્ની શાંતિદેવી, પુત્ર રવિકુમાર, દયાનંદના સાથી કર્મચારી ભીમ બહાદુર, અજયકુમાર સિંગ, યોગેન્દ્ર વર્માને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. દયાનંદની પત્ની શાંતિદેવીએ જણાવ્યું કે અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. જીવન માં કોઈ પણ ચીજવસ્તુઓનું દાન અમે કરી શકીએ તેમ નથી, આજે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી જેટલા પણ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. દયાનંદના પરિવારમાં તેમની પત્ની શાંતિદેવી ઉ.વ ૩૯, પુત્રો રવિ ઉ.વ ૨૩ અને રાજ ઉ.વ. ૧૮ છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO)નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને અને બંને કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી. ROTTO દ્વારા હૃદય મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યું.

હૃદયનું દાન મુંબઈ ની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલના ડૉ. સંદીપ સિન્હા, ડૉ. નીરજ કામત, ડૉ. ગાયત્રી જૈન, ટ્રાન્સપ્લાન્ટ કૉ. ઓડીનેટર સંતોષ સરોટે અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પીટલના ડૉ. અંકુર વાગડિયા, ડૉ. યશ પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ. ઓડીનેટર રાજુ ઝાલા અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

સુરતની મૈત્રેય મલ્ટી સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલ થી મુંબઈનું ૨૯૮ કિલોમીટરનું અંતર ૮૫ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરીવલ્લી, મુંબઈના રહેવાસી, ઉ.વ. ૬૫ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પીટલમાં ડૉ. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખંભાતના રહેવાસી ૫૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં ડૉ. આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાત મંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવશે.

હૃદય, લિવર અને કિડની સમયસર હવાઈ માર્ગે મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે મૈત્રેય મલ્ટી સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૯ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ સુડતાલીસમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. દયાનંદ શિવજી વર્મા ઉ.વ. ૪૨ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *