કાઈટ ફેસ્ટિવલમાં અયોધ્યાનો પતંગ ઊડ્યો: રામજીની તસવીરવાળો પતંગ સૌથી ઉપર ચગ્યો, અમદાવાદ સહિત 5 શહેરમાં પતંગ મહોત્સવનો પ્રારંભ

Kite Festival 2024: ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ( Kite Festival 2024 )નો શુભારંભ થયો છે. આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 7 થી 12 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 55 દેશના 153 પતંગબાજો ઉડાડવા અમદાવાદમાં આવશે.

55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે
આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે. 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ પણ ભાગ લેશે. જે દેશ આ પતંગોત્સવમાં ભાગ લેવાના છે તેમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના પતંગ બાજો આવેશ. અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પતંગોત્સવની સાથે તમે હસ્તકલા અને ફૂડસ્ટોલની મજા પણ માણી શકશો. આ સિવાય તમે પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડના આયોજનને માણી શકશો. તદઉપરાંત પતંગ મહોત્સવ દરમિયાન 7 થી 13 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયુ છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં ક્યારે ઉજવાશે પતંગોત્સવ
તારીખ 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. પતંગ મહોત્સવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના અને વિવિધ પ્રકારના અવનવા પતંગો ઉડાડવામાં આવી રહ્યા છે. માછલી, રામમંદિર, એક જ દોરી પર 200થી વધુ પતંગો, ઓક્ટોપસ, સાપ, I LOVE GUJARAT, I LOVE AHMEDABAD પ્રકારના પતંગ ઉડાવવામાં આવી રહ્યા છે.

રામ મંદિરના ત્રણ પતંગ ચગાવવામાં આવ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ I LOVE GUJARAT સહિતના ત્રણ જેટલા પતંગો ચગાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અયોધ્યાના રામ મંદિરનો પતંગ પણ ચગાવવામાં આવ્યો છે. રામ મંદિરના ત્રણ જેટલા પતંગ ચગાવવામાં આવ્યા છે.

ભગવાન રામની પ્રતિકૃતિવાળા પતંગ ચગાવવામાં આવ્યા
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇ પતંગ મહોત્સવમાં ભગવાન રામની પ્રતિકૃતિવાળા પતંગ પણ ચગાવવામાં આવ્યા હતા. મૂળ સુરતના રહેવાસી નિતેશ લકુમ નામના વ્યક્તિએ તેમના 15 મિત્રો સાથે મળી અને ભગવાન રામની પ્રતિકૃતિવાળો પતંગ બનાવ્યો હતો.

રોજના 40 થી 45 હજાર લોકો લે છે મુલાકાત
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફ્લાવર શોના એક અઠવાડિયામાં જ 3.11 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે. બાળકો સહિત 4 લાખથી વધુ લોકો સાત દિવસમાં ફ્લાવર શો નિહાળી ચૂક્યા છે. પ્રથમ સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.80 કરોડની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. રોજના 45 હજારથી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે.