રાજકોટ/ સાત હજાર શિક્ષકોએ શિક્ષણનો કર્યો બહિષ્કાર- આંદોલન થતાં આજે 30,000 વિદ્યાર્થીઓનું બગડ્યું ભણતર

Old Pension Yojana: ગુજરાત રાજ્યના કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે. જૂની પેન્શન સહિતની કર્મચારીઓની માંગને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને…

Old Pension Yojana: ગુજરાત રાજ્યના કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે. જૂની પેન્શન સહિતની કર્મચારીઓની માંગને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પેન ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરી છે. આજે સરકારી કર્મચારીઓ પોતાના કામથી અળગા રહેશે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાની 700થી વધુ શાળાઓનાં 7,000થી વધુ શિક્ષકો શિક્ષણકાર્યથી અળગા રહ્યાં હતા. જેનાથી જિલ્લાના 30,000થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું હતુ. આ તકે રાજકોટ સંકલન સમિતિના(Old Pension Yojana) કનવીનરે કહ્યું કે, જો સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામા આવશે.

રાજકોટમાં 30,000થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જુની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયુ હતુ ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરુ કરવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે કારણકે કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. ત્યારે રાજકોટની સંકલન સમિતિના મીડિયા કન્વિનર ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ગ્રાન્ટેડ શાળાઓના 1,600થી વધુ શિક્ષકો પેનડાઉન અને ચોકડાઉનમાં જોડાયેલા છે. આ સાથે જ 36 સરકારી વિભાગનાં કર્મચારીઓ જોડાયાં છે. શિક્ષકોની માગણી છે કે, શિક્ષકો માટે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામા આવે, જે કર્મચારીનો માસિક રૂ. 90,000 પગાર હતો. તેનું રૂ. 3,500 નક્કી થયું છે.

શિક્ષકો શાળાએ પહોંચ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને ભણાવ્યા નથી
ફરીએકવાર સરકારી કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ આપવા સહિતના પોતાના પડતર પ્રશ્નોનું એકીકરણ કરવા તમામ અધિકારી કર્મચારીના મત મેળવવા વિવિધ હરતી ફરતી મત પેટી ફેરવાશે અને તમામ મતો એકત્ર કરી પ્રાંતની ટીમ સચિવાલયમાં આ પ્રશ્નો જમા કરાવશે. રાજ્યના તમામ કર્મચારી આજે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે.ત્યારે રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમા 4,600 તો માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના 2,629 શિક્ષકોએ આજે શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. એટલે કે, રાજકોટ જિલ્લાની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં 7,000થી વધુ શિક્ષકો શાળાએ પહોંચ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને ભણાવ્યા નથી.

અગાઉ ગાંધીનગર ખાતે કર્મચારીઓએ ધરણા કર્યા હતા
અગાઉ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતની પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ફેબ્રુઆરીની 23મી તારીખે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો હતો. સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી દેખાવની જાહેરાત કરવામાં આવી હતી.

રાજકોટમાં પણ શિક્ષકોએ આંદોલનનો રસ્તો અપનાવતા કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા હોઈ તેવું સામે આવી રહ્યું છે,હવે જોવાનું એ રહ્યું કે શું રસ્તો નીકળશે?