કેદારનાથમાં હેલીકોપ્ટરની સાથે સાથે ભાવનગરના ત્રણ પરિવાર પર તૂટી પડ્યું આભ- એક સાથે 3 દીકરીઓના મોતથી પંથકમાં અરેરાટી

આજે સવારે ઉત્તરાખંડ(Uttarakhand)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. કેદારનાથ (Kedarnath)થી બે કિલોમીટર દૂર આજે સવારના સમયે હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થતાં બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુ સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે.

ત્રણ મૃતકમાં બે પિતરાઈ બહેનો:
આ દુર્ઘટનામાં કુલ સાત લોકોના કરુણ મોત નીપજ્યા છે. તેમાં ત્રણ યુવતી ભાવનગરની હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાવગરના દેસાઈનગર-2માં રહે છે. ભાવનગરમાં રહેતા યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ત્રીજી યુવતી સિહોરની રહેવાસી:
ત્રણ યુવતીઓમાં બે યુવતીઓ પિતરાઈ બહેનો હોવાનું સામે આવ્યું છે. તે જ સમયે પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વા રામાનુજના પિતા સિહોર નગરપાલિકાના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતીઓનાં પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા યુવતીઓનાં પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી:
આ દુર્ઘટનાની જાણ ભાવનગર વહીવટીતંત્ર થતા જ નાયબ મામલતદાર દ્વારા યુવતીઓનાં પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાન શિવજીનાં દર્શન માટે ગઈ હતી. 17મી તારીખે જવાનું અને ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી. યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી, આ દરમિયાન કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે પૂર્વા, ઉર્વી તેમજ કૃતિનું મોત નીપજ્યું હતું.

ઉર્વી બારડની IT કંપનીમાં જોબ હતી:
પ્રાપ્ત વિગતો મુજબ, ઉર્વી બારડ અમદાવાદની IT કંપનીમાં નોકરી કરતી હતી. તેમજ ઉર્વીની બે મહિના પહેલાં જ સગાઈ થઈ હતી. આજે સવારે જ્યારે દુર્ઘટના બની તે પહેલાં જ તેના ફિયાન્સ સાથે ફોન પર વાત કરી હતી. ઉર્વી બારડ ટ્રેકિંગનો શોખ ધરાવતી હોવાને કારણે તેણે આ પહેલાં પણ 2 થી 3 વાર કેદારનાથનો પ્રવાસ કર્યો હતો.

કૃતિ બારડની ભાવનગરની અલોહા સ્કૂલમાં જોબ હતી:
ત્યારે હવે ઉર્વી બારડની પિતરાઈ બહેન કૃતિ બારડ વિશે વાત કરીએ તો, કૃતિ તેમના પરિવારની એકની એક દીકરી હતી. તે ભાવનગરની અલોહા સ્કૂલમાં નોકરી કરતી હતી. કૃતિનો આજે જ જન્મદિવસ હતો. ત્યારે આ દુર્ઘટનાને કારણે કૃતિનો જન્મ દિવસ જ તેનો અંતિમ દિવસ બન્યો છે. ઉર્વીએ વોટ્સએપ પર બંને બહેનોના ફોટો સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવતું સ્ટેટસ પણ મૂક્યું હતું.

ઉર્વી અને કૃતિની હરિદ્વારમાં અંતિમવિધિ કરાશે: પરિવારજન
દુર્ઘટનાને પગલે આજે સાંજે તેમના પરિવારજનો ઉતરાખંડ જવા રવાના થયા છે. ઉતરાખંડમાં મૃતદેહ સોંપાયા બાદ પરિવારજનો હરિદ્રારમાં બને દીકરીઓની અંતિમવિધિ કરશે તેવું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે યુવતીઓના પરિવારજનોની હાલત કફોડી બનવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *